સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ હવે ભાવિકો પોસ્ટ ઓફિસ મારફત ઘરે બેઠા મંગાવી શકશે. આજે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ દ્વારા આ નવીનતમ કાર્યનું ઈ-શુભારંભ કરવામાં આવ્યું હતું. હજારો કિલોમીટર દૂર બેઠેલા ભાવિકો હવે ઘર બેઠા સોમનાથ દાદાનો મહાપ્રસાદ મેળવી શકશે.


કરોડો શિવભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર નવીનતમ ભેટ આપવામાં આવે છે. આજે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક શુભ કાર્યનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિવભક્તો માત્ર 251 રૂપિયાના મની ઓર્ડર પોસ્ટ દ્વારા કરશે તો તેમને ઘરબેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મળશે.

આજે સવારે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણકુમાર લેહરીના વરદ હસ્તે આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મની ઓર્ડર પ્રાપ્ત થતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને 200 ગ્રામ ગજના લાડુ, 200 ગ્રામ તલસિંગ અને મગફળીની ચીકી પ્રસાદ રૂપે મોકલવામાં આવશે. અગાઉ પણ મંદિર દ્વારા ભાવિકો માટે ઓનલાઈન આરતી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે જેનો કરોડો શિવભક્તો લાભ લઈ રહ્યાં છે.

સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોર્તિલિંગ હોવાના કારણે દેશ વિદેશમાંથી વર્ષે કરોડો લોકો અહીં દર્શનાર્થે આવે છે. હવે પોસ્ટ ઓફિસ મારફત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને મહાદેવનો પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શિવભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.