અમદાવાદઃ  જ્યારથી નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અનેક મહાનુભવો તેને લઈને પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે આ કડીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકરાણમાં જવુ કે ન જવું તે નરેશ ભાઈનો વ્યક્તિગત સવાલ હોય છે, સમાજ કોઈ સામુહિક નિર્ણય લેતો નથી. દિલિપ સંઘાણીએ આગળ કહ્યું કે, ઘણા લોકો કહેતા હોય છે કે, મારી તો રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી પરંતુ સમાજે કીધું એટલે રાજકારણમાં આવ્યો. જોકે સમાજ ક્યારેય કોઈને કહેતો નથી. સમાજના નામે રાજકારણ કરવાને બદલે રાષ્ટ્રના હિતમાં રાજકારણ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, લેઉવા પટેલની સૌથી જુની સંસ્થાનો હું પ્રમુખ છું. 


દિલિપ સંઘાણીએ હાર્દિક પટેલનું ઉદાહરણ આપતા કહ્યું કે, હાર્દિક પટેલે પણ સમાજના નામે રાજકારણ કર્યું છે. આજે તેમની હાલત કેવી છે તે સૌ કોઈ જાણે છે તેથી નરેશ ભાઈની હાલત પણ હાર્દિક જેવી ન થાય તો સારૂ. તેમણે આગળ કહ્યું કે, એક લેઉવા પટેલની સંસ્થાના પ્રમુખ તરીકે હું નરેશ પટેલ માન આપું છું પરંતુ રાજકારણમાં જોડાવું તેનો અંગત મત છે. આમ જોઈએ હાર્દિક પટેલે પણ પહેલા એવું જ કહ્યું હતું કે હું રાજકારણમાં જોડાઈશ નહીં પરંતુ પાછળથી તેઓ કોંગ્રેસમાં જોડાયા. જો કે હાર્દિક પટેલના આવવાથી કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થયો હોય તેવું હાલમાં તો લાગતું નથી. કારણ કે કોઈ મોટી ચૂંટણી જીતાડવામાં તેમણે કોઈ મોટી ભૂમિકા નિભાવી નથી. આ ઉપરાંત હાર્દિક પટેલનું પ્રભુત્વ પણ કોઈ ખાસ દેખાતું નથી. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેને લઈને બધી પાર્ટીઓ કમરકસી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ થશે. કારણ કે, પંજાબમાં મળેતી જીત બાદ આમ આદમી પાર્ટી ઘણા જોશમાં છે. તેથી ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. આપ અને કોંગેસ બન્ને ઈચ્છી કરી છે તેમની પાર્ટીમાં કોઈ મોટો પાટિદાર ચહેરો આવે. નરેશ પટેલનું લેઉવા પટેલમાં ઘણું મહત્ત્વ છે જો કે રાજકારણમા આવ્યા પછી તેમને કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું. કારણ કે પાટિદાર આંદોલન સમયે હાર્દિકને સમર્થન મળ્યું હતું પરંતુ રાજકારણમાં આવ્યાં બાદ તેમને જોઈ તેટલી સફળતા મળી નથી.


તો બીજી તરફ દિલીપ સંઘાણીના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પ્રતિક્રિયા આપી છે. તેમણે સંઘાણીના નિવેદનને વાહીયાત ગણાવ્યું છે. આ ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે પલટવાર કર્યો હતો અને કહ્યું કે, નરેશ પટેલ રાજનીતિમાં આવે તો ભાજપની દુકાન બંધ થવાનો સંઘાણીને ડર છે. દિલીપભાઈએ સમાજને લૂંટ્યો  અને છેતર્યો છે. 



રાજનીતિમાં આવવા અંગે શું કહ્યું હતું નરેશ પટેલે?


આ પહેલા રાજકારણમાં આવવા અંગે નરેશ પટેલે કહ્યું હતુંકે, ભાજપ, કોંગ્રેસ અને આપે મને આમંત્રણ આપ્યું છે. દિલ્લીનો પ્રવાસ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો. દિલ્લીમાં કોઈ રાજકીય બેઠક થઈ નથી. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની વાત મેં સરકારમાં કરી છે. સરકારે પણ મારી વાતને હકારાત્મક રીતે લીધી છે. મીડિયાએ તેમને પૂછ્યું હતું કે, ચર્ચાઓ ચાલી રહી છે કે, નરેશભાઈની માંગ એવી છે કે, પાટીદાર આંદોલનમાં  જે કેસ થયા છે, તે પરત ખેંચ્યા બાદ જ રાજકીય પ્રવેશ કરશે, શું કહેશો? 


આ પ્રશ્નના જવાબમાં નરેશ પટેલે કહ્યું કે, આવી કોઈ વાત નથી. જે પાટીદાર કેસો કરતાં દરેક સમાજના જે ખોટા કેસો થયા છે, એની મેં માંગ કરેલી છે અને આને ખૂબ પોઝીટિવ રીતે સરકારે લીધેલું છે. છેલ્લા 2 દિવસમાં સરકારી ધોરણે પણ આમાં હિલચાલ જોવા મળી છે. સીએમ ઓફિસથી ડાયરેક્ટ આદેશો આપવામાં આવે છે કે, દરેક સમાજના દીકરા-દીકરી પર છે, તેને તાત્કાલિક પણે વિધિ કરીને તાત્કાલિક પાછા ખેંચે તેવો આદેશ આપવામાં આવ્યો છે.