કેવડિયા કોલોની: સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓકટોબરથી 2 નવેમ્બર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. 31 ઓકટોબરે પીએમ મોદી કેવડિયા આવી રહ્યા હોય સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના અન્ય પ્રોજેક્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 31 ઓકટોબરે કેવડિયામાં યોજાનારી એકતા પરેડમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના છે. ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રોજેક્ટમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવાની હોય પ્રવાસીઓ માટે સાત દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.


27 તારીખથી સ્ટેચ્ચૂ ઓફ યુનિટીની ઓનલાઈન ટિકિટનું બુકીંગ પણ બંધ કરી દેવાશે. 3 નવેમ્બરથી પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. મહત્વનું છે કે, 7 મહિનાના લાંબા ગાળા બાદ ગઈકાલથી જ પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું મુકવામા આવ્યું હતુ.

કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ જ કરી શકે છે. ટિકિટ બારી પરથી રૂબરૂ ટિકિટ નથી મળતી. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે અધિકૃત વેબસાઈટ પરથી ટિકિટ મળે છે.