સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં લખતર-જમર ગામ વચ્ચે અકસ્માત સર્જાતા બે પોલીસકર્મીના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરમાં લખતર-જમર ગામ વચ્ચે બે પોલીસકર્મીઓની બાઈક સામે પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ઉપરથી નીચે પડતાં એક પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પોલીસ કર્મીને સારવાર માટે લઈ જતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પી. આઇ, પી.એસ.આઈ, ડી વાય એસ પી અને જિલ્લા એસ પી હરેશ દુધાત સહીત પોલીસ કાફલો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.


Patan: રાધનપુરમાં ડૂબતા યુવાનને બચાવવા જતાં બીજો યુવાન પણ ડૂબ્યો, બન્નેના મોત


પાટણ: રાધનપુરના ચલવાડા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બે યુવાનો ડૂબ્યા છે. ચલવાડા પાસે આવેલ વન વિભાગની નર્સરીમાં કામ કરતા બે મજુર ડૂબતા ચકચાર મચી જવા પામી છે. નર્સરીમાં મજૂરી કરતા બે યુવાનમાંથી એક યુવાન બપોરના સમયે પાણી ભરવા જતા ડૂબ્યો હતો. જ્યારે ડૂબતા યુવાનને બચાવવા ગયેલ અન્ય યુવાન પણ કેનાલમાં ડૂબતા બન્નેના મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે શોઘખોળ બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને મજૂરી કામ કરતા યુવાનના મોતથી પરિવાર જનમાં આભ ફાટયું છે. મૃતક યુવાનના નામ સંજય ઠાકોર અને કિરણ ઠાકોર છે.


કરજણ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત


કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બાઈક, સ્વીફ્ટ અને ટેન્કરનો એકસાથે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટેન્કર ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. નેશનલ હાઇવે 48 પરના ભારત કોટન ત્રણ રસ્તા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાતા એક ટેન્કર ચાલકનું મોત થયું છે. અકસ્માત સમયે ટેન્કર ચાલક ચાલું ટેન્કરે નીચે કૂદી પડતા પોતાના ટેન્કર નીચે આવી ગયો હતો. જો કે, સદનસીબે સ્વિફ્ટ ગાડી અને મોટર સાઇકલના ચાલકનો આબાદ બચાવ થયો છે. કન્ટેનરના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય ખાતે ખસેડાયો છે. ટ્રિપલ અકસ્માત સર્જાતા હાઇવે નં 48 પર ટ્રાંફિકજામના દ્રષ્યો સર્જાયા છે. અકસ્માત બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.


તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.