બનાસકાંઠા: દિયોદર લુદરા નર્મદા કેનાલમાં શિક્ષકનું ડૂબી જવાથી મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેનાલમાં જવેરા પધરાવવા જતા શિક્ષકનો પગ લપસતા આ બનાવ બન્યો હતો. મૃતક શિક્ષકનું નામ જીગર વૈષ્ણવ છે અને તેઓ ગોલવી નવા ગામે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારજનો કેનાલ પર પોહચ્યા હતા. તરવૈયાની મદદથી શિક્ષકના મૃતહેદની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આચાર્ય જીગર વૈષ્ણવ દિયોદરની બંસીધર સોસાયટીમાં રહેતા હતા. શિક્ષકના મોતના સમાચાર મળતા પરિવારની સાથે સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.


 



એક જ દિવસમાં પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર


ડાંગ જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ગાંડીતૂર બનેલ નદીઓનાં પાણી  ઓસરતા એક જ દિવસમાં પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્ણા નદીના પાણી ઓસરતા પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. આહવા તાલુકામાંથી ત્રણ અને સુબિરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. પાંચ મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છે.


પૂર્ણાં નદીમાં પાણી ઉતરતા આહવા તાલુકામાં ત્રણ અને સુબિર તાલુકામાં 2 એમ કુલ પાંચ મૃતદેહો મળી આવતા પંથકમાં ગમગીની છવાઈ છે.  ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારના રહીશ ઇન્દ્રભાઈ પવાર ગુરૂવારે ખેતરમાંથી ઘરે પરત ફર્યા ન હતા. જેમનો શુક્રવારે મૃતદેહ મળી આવ્યો. તો સુબિર તાલુકાના વડપાડા ગામના યુવકનો અને ઢોંગીઆંબા ગામના એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.જેથી પંથકમાં શોકનો માહોલ છે.


કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે


બીજી તરફ મહીસાગરના કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમમાં પાંચ હજાર 150 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમનું જળસ્તર 386.06 ફુટ પર પહોંચ્યું છે.  કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફુટ છે. ત્યારે કડાણા ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 56 ટકા વરસાદ


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સીઝનનો વરસાદ 100 ટકાને પાર પહોંચી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા અને મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 32 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 28 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 42 ડેમ છે હાઈએલર્ટ પર જ્યારે 13 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 67 ટકા પાણીનો જથ્થો છે.