રાજદ્રોહ કેસમાં આરોપી અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જામીનની શરતોમાં સુધારા માટે કરેલી અરજી પર આજે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાર્દિક પટેલે અરજી કરી રજૂઆત કરી છે કે પોતે રાજકીય પક્ષમાં સ્ટાર પ્રચારક હોવાથી દિલ્લી અને અન્ય રાજ્યોમાં પણ અવારનવાર જવું પડી શકે એમ છે. એટલા માટે તેમને રાજ્ય બહાર જવાની મંજૂરી આપવામાં આવે.


તો બીજી બાજુ હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. સરકારે રજૂઆત કરી કે કોર્ટની પરવાનગી લઈને આરોપી રાજ્ય બહાર જઈ શકે છે. જો હાર્દિક પટેલે રાજ્ય બહાર જવું હોય ત્યારે કોર્ટમાં અરજી કરે. ત્યારે આ અંગે આજે અંતિમ સુનાવણી બાદ કોર્ટ શું નિર્ણય કરશે તે મહત્વનું બનશે.

નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વડાપ્રધાનના આંદોલનજીવીવાળા નિવેદનને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપાયીનું અપમાન ગણાવ્યું હતું. હાર્દિક પટેલે ટ્વીટરમાં પોતાનું નામ બદલીને ‘આંદોલનજીવી હાર્દિક પટેલ’ કરી દીધું છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું કે, આપણાં સૌના પ્રિય પૂર્વ વડાપ્રધાન અટલજીના આંદોલન દરમિયાન સંસદ સુધી બળદગાડા પર જતા હતા. આજે મોદીજીએ તેમને પણ આંદોલનજીવી કહી દીધાં, અટલજીનું અપમાન, હિંદુસ્તાન નહી સહન કરે.