અમદાવાદઃ લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જતાં ગુજરાત સરકારની આવકમાં મોટો ફટકો પડ્યો છે. આ નુકસાન સરભર કરવા રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર વધારા પર કાતર મૂકી દેવાઈ છે.


રાજ્યના કર્મચારીઓને દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે તે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2020થી 1 જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે રાજ્ય સરકારને રૂપિયા 3400 કરોડની બચત થશે.

આ પહેલાં મોદી સરકારે પણ આ પ્રકરાનો નિર્ણય લઈને 19 મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. તેના પગલે દેશનાં ઘણાં રાજ્યોમાં આ જ નિર્ણય લેવાયો હતો પણ ગુજરાત સરકારે જાહેરાત કરવાનું ટાળ્યું હતું. ગુજરાત સરકારે હવે એ જ પ્રકારની જાહેરાત કરતાં ગુજરાતમાં રાહત છે એવું માનતા સરકારી કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો છે.