ગાંધીનગરઃ કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને હવે લગ્ન સમારંભમાં 200 લોકોને હાજર રાખવા છૂટ આપી છે. આ છૂટછાટનો આજે એટલે કે 3 નવેમ્બર, 2020થી રાજ્યભરમાં અમલ શરૂ થઈ ગયો છે ત્યારે રૂપાણી સરકારે યજ્ઞ- પાટોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનોમાં પણ આ છૂટ આપી દીધી છે. રૂપાણી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે હવેથી કોરોના સામે રાખવાની સતર્કતા અને તકેદારીની શરતોને આધીન આ કાર્યક્રમોમાં પણ 100 વ્યક્તિના બદલે 200 વ્યક્તિઓ હાજર રહી શકશે.


લગ્નમાં 200 માણસોને હાજર રાખવાની છૂટ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, તમામ કિસ્સામાં આ છૂટ નહીં મળે અને બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે. આ શરત યજ્ઞ- પાટોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનોમાં પણ લાગુ પડશે. બંધ હોલમાં થતા કાર્યક્રમોમાં હોલની કેપિસિટીના 50 ટકા અને મહત્તમ 200 લોકોને હાજર રાખી શકાશે.

રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે, કોઈ પણ સંજોગોમાં લગ્ન સમારોહમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ અને બંધ હોલમાં પણ કુલ ક્ષમતાના 50 ટકા સુધીની છૂટમાં પણ 200 વ્યક્તિથી વધારે ના થવા જોઈએ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને નિયમમાં સુદારો કરતાં રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે.