દાહોદ: એસઓજીની ટીમે માનવ તસ્કરીનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપીએ પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષની કિશોરીને ભગાડી જઈ એક લાખમાં વેંચી દીધી હતી.


દાહોદ શહેરમાં પરીણિત યુવકે એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઇ ગયા બાદ તેને 10 માસ સુધી વિવિધ શહેરોમાં ફેરવી હતી. ત્યાર બાદ પીછો છોડાવવા માટે તેણે મધ્ય પ્રદેશના એજન્ટની મદદથી રાજસ્થાનમાં મંદીરના અપરીણિત પૂજારીને પત્ની તરીકે રાખવા માટે કિશોરીને એક લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ગુમ કિશોરીને શોધી રહેલી દાહોદ AHTUની ટીમની તલસ્પર્શીમાં આ ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો.


દાહોદ શહેરમાં રહેતો રાજા ઉર્ફે હસમુખલાલ હંસરાજ બોરાસી નામક યુવક ટ્રેનમાં ફેરીનું કામ કરતો હતો. શહેર નજીક જ રહેતી એક 15 વર્ષ 7 માસની ઉમરની કિશોરીને તેણે પ્રેમ જાળમાં ફસાવી હતી. બે બાળકોનો પિતા રાજા 16 માર્ચ 2022ના રોજ આ કિશોરીને લઇને નાસી ગયો હતો. રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી કિશોરી મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે તત્કાલિન સમયે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. 




એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલાની સુચનાથી એન્ટી હૃમન ટ્રાફિકિંગ(AHTU) ટીમે તલસ્પર્શી તપાસ બાદ શંકાના દાયરામાં આવેલા રાજાની અટકાયત કરાઇ હતી. પુછપરછમાં તેણે વર્ણવેલી વિગતોથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અપહરણ બાદ રાજા આ કિશોરીને નૈનીતાલ,આગ્રા, દિલ્હી અને ઉજ્જૈન ફેરવીને ત્યાં મજુરી કામ કરાવતો હતો. 10 માસ સાથે રાખ્યા બાદ કિશોરી બો જ લાગવા માંડતા તેને વેચીને રૂપિયા ઉભા કરવાનું વીચારીને રાજાએ ટ્રેનમાં જ ફેરી કરતાં તેના પરીચિત મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના વીઘાટ(નયાગાવ) ગામનો રહેવાસી બાલચંદ નારાયણદાસ બૈરાગીને ‘પોતાની એક બહેન છે અને કોઇ અપરીણિત હોય અને લગ્ન કરવા હોય તો તે કરાવી આપશે’ તેવી માહિતી આપી હતી. 


રાજસ્થાનના ઝાલાવડના આમઝરખુર્દ ગામના અને મંદીરમાં પુજારી એવા 35 વર્ષિય જ્ઞાનચંદ રાધેશ્યામ બૈરાગી વચેટિયા બાલચંદનો સબંધિ હતો અને અને તેના લગ્ન થતાં ન હતાં. બાલચંદે સબંધિ જ્ઞાનચંદને વાત કરતાં તે લગ્ન માટે રાજી થયો હતો. વચેટિયા બાલચંદે પોતાના ઘરે મીટીંગ ગોઠવતાં રાજા કિશોરીને પણ સાથે લઇ ગયો હતો. જ્ઞાનચંદને કિશોરી પસંદ પડી જતાં તે લગ્ન માટે રાજી થતાં કિશોરીના બદલામાં એક લાખ રૂપિયા નક્કી કરાયા હતાં. જ્ઞાનચંદે પ્રારંભે 75 હજાર રૂપિયા આપ્યા હતા. તેમાંથી 50 હજાર રાજા અને 25 હજાર બાલચંદે વચેટીયા તરીકે રાખ્યા હતાં. 


9 માસ સુધી જ્ઞાનચંદે કિશોરીને પત્ની તરીકે રાખી હતાં. ભેદ ખુલ્યા બાદ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડ અને એસઓજીએ ટીમો બનાવીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જઇને જ્ઞાનચંદ,બાલચંદની અટકાત કરવા સાથે કિશોરીનો કબજો મેળવ્યો હતો. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કિશોરીને વેચી નાખવાની ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો અને  કેટલી છોકરીઓને વેચી તે દિશામાં તપાસ હાથ ધરી છે.