અમરેલી: રાજ્યમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. બગસરા શહેરમાં બજારો બંધ જોવા મળી હતી. કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં રોષ છે.


બગસરામાં ગઈ કાલે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, કરીયાણા એસોસિએશન દ્વારા બે દિવસના બંધની જાહેરાત કરવામાં આવી હતી. સંતોષકારક રીતે પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બજારો બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.