સુરેન્દ્રનગર: ગીરના સિંહની હાજરી હવે છેક ચોટીલામાં જોવા મળી રહી છે. વન વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં જ ધારૈઈ ગામમાં સિંહે એક જાનવરનું મારણ કર્યું હતું. જોકે સ્થાનિકોનું એવું કહેવું છે કે, ચોટીલામાં એક નહીં પરંતુ બે સિંહો જોવા મળ્યાં હતાં. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં બે સિંહ રસ્તા પર જતાં જોવા મળી રહ્યાં હતાં અને આ વીડિયો ચોટીલાનો હોવાની ચર્ચા છે.

ચોટીલામાં સિંહનું આગમન થયાની વાતને પુષ્ટિ આપતા વનવિભાગે જણાવ્યું હતું કે, 18 નવેમ્બરે સિંહના પગલાંની ચકાસણી બાદ અહીં સિંહ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ગીરના સિંહો ગીરની આસપાસના વિસ્તારોમાં તો વર્ષોથી ફેલાયેલા છે પરંતુ ચોટીલા સુધી પહોંચી ગયા હોવાનો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ દેખાતા વનવિભાગે સ્થાનિકોને સિંહની જાળવી માટે કેટલીક સૂચના પણ આપી છે.

સિંહ શિડ્યુલ-1ના વન્ય પ્રાણીમાં આવતો હોવાથી તેને પજવવો, ચીઢવવો કે પરેશાન કરવો સજાપાત્ર ગુનો છે. લોકોનાં ટોળાં લઈ સિંહ જોવા ન જવું, સિંહની હાજરી જે ગામમાં હોય ત્યાં માલઢોર ખૂલ્લામાં ના બાંધવા, સિંહને છંછેડવા નહીં, સિંહ મારણ કરતા હોય ત્યારે લાઈટ કરીને કે ગાડી લઈને તની નજીક ન જવું સહિતની સૂચનાઓ લોકોને આપવામાં આવી છે.