આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે. આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે. તેઓ બે ટર્મથી ધારાસભ્ય છે. ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. અનેક સામાજીક કાર્યોમાં પણ સક્રિય હતા. તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
નિધનના સમાચાર મળતા ભાજપા નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
તેઓ એક ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહેલા 2 ટર્મ ભાજપમાંથી જીત્યા હતા. શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી હતા. ત્યારબાદ ભાજપમાં વિધિવત 2017 માં જોડાયા હતા. ભાજપે ટિકિટ આપતા તેઓ જીત્યા અને પુનઃ ભાજપે 2022 માં ટિકિટ આપી તેઓ જીત્યા હતા.
હૃદયરોગનો હુમલો આવ્યો
ગોવિંદભાઈ પરમારને વહેલી સવારે અચાનક તબિયત બગડતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવિંદભાઈ પરમાર હાલ 15મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય હતા.
ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા
રાજકારણમાં ગોવિંદભાઈ પરમારે લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેઓ પોતાના સરળ સ્વભાવ અને સામાજીક કાર્યો માટે જાણીતા હતા. પોતાના વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહેતા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરતા હતા.