દેવભૂમિ દ્વારકા:  હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે.  શિયાળું પાકને નુકસાન જવાની ભિતી છે.  કલ્યાણપુરના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદથી ભર શિયાળે માવઠાનો માર પડતાં ખેડૂતોના શિયાળું પાકને નુક્સાન જવાની ભારે ભિતી સેવાય રહી છે.


રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટા જેવી સ્થિત સર્જાઇ રહી છે. આજે સવારે દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતને રવિ પાકમાં ઘઉં, ચણા, જીરુ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થઇ રહી છે.   


બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક વધારો થશે.  હવામાન વિભાગે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે.  અમદાવાદ શહેરમાં 16.7 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 26 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પવનની દિશા પૂર્વ ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાય રહ્યા છે.  ગુજરાતના કચ્છ, દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે આ ઉપરાંતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   અરબી સમુદ્રમાંથી ભેજવાળા  પવન આવતા હોવાના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.


ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. નલિયામાં 11થી 14 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. જયારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 


દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરના હવામાનની વાત કરીએ તો  મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સંભાવના છે.