રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય વિભાગની બેદરકારી કે કૌભાંડ અંગેનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જેથી પરિવારે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.


હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. પરંતુ ઉપલેટાના સુરજવાડી ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું સિર્ટિફિકેટ ઘરે આવતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો હતો. પરિવારના સભ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે. છતાં કંઇ રીતે આ વેક્સિન આપવામાં આવી. અમારા સ્વજનના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ ? આ અંગે ઊંડાણપૂર્વ તપાસ કરવા પરિવારે માગ કરી છે.


રસીકરણમાં પોલંપોલનો વધુ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં 10 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિને રસી આપી હોવાનું સર્ટિફિકેટ આરોગ્ય વિભાગે આપી દીધું. દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા નરેશકુમાર દેસાઈના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો.  આ મેસેજ તેમના પિતા નટવરભાઈને કોરોનાની રસી આપવામાં આવી હોવાનો હતો. પણ ચોંકાવનારી વાત એ છે કે 10 વર્ષ પહેલા જ તેમના પિતાનું મૃત્યું થયું હતું. આમ મૃત વ્યક્તિને રસી આપવામાં આવી હોવાનો મેસેજ આરોગ્ય વિભાગે મોકલતાં રસીકરણમાં કેવા છબરડાં ચાલી રહ્યા છે તેની વધુ એક પોલ ખુલી છે.


પરિવારે માગ કરી કે, આ મામલે તપાસ થવી જોઈએ. રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગ ગોટાળા કરી રહ્યું છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો. જો આખા રાજ્યના રસીકરણના આંકડાઓની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં.