Vande Bharat:  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.  ગુજરાતના આણંદ સ્ટેશન નજીક શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ રિસ્પોન્સનો સમય ઓછો હતો. આ અકસ્માત ગાંધીનગર-મુંબઈ વચ્ચે થયો હતો. બે દિવસમાં આ બીજો અકસ્માત છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન ચાર ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. જેને 20 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી.





રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી, સિવાય કે તેની આગળની પેનલ પર એક નાનો ઘોબો પડ્યો હતો. આ ઘટના શુક્રવારે બપોરે 3:48 કલાકે મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ નજીક બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે.  તમામ મુસાફરો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 6 દિવસ બાદ ટ્રેન સતત બે વખત અકસ્માતનો શિકાર બની રહી છે. સદનસીબે બંને દિવસે બનેલા અકસ્માતમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી.


એક્સપ્રેસ કોચિંગ કેર સેન્ટરમાં રાતોરાત સમારકામ કરવામાં આવ્યું હતું


આગલા દિવસે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. યાત્રીઓને 20 મિનિટમાં જરુરી સમારકામ કર્યા બાદ કોઈપણ પ્રકારના નુકસાન વિના રવાના કરવામાં આવ્યા હતા. આ ટ્રેન ક્ષતિગ્રસ્ત થયાના થોડા સમય બાદ રવાના કરવામાં આવી હતી. જે બાદ ક્ષતિગ્રસ્ત વંદે ભારત એક્સપ્રેસનો આગળનો ભાગ કોચિંગ કેર સેન્ટરમાં રાતોરાત રિપેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર-અમદાવાદ સેક્શનની ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.


ભેંસના માલિક સામે FIR નોંધાઈ


ગુરુવારે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ ગયેલી ભેંસોના માલિકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. માલિકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. આ અકસ્માત ગેરતપુર અને વટવા સ્ટેશન વચ્ચે થયો હોવાનું જાણવા મળે છે.