વિરમગામઃ વિરમગામની યુવતીને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. પતિએ આ સંબંધ નહીં રાખવા સમજાવવા છતાં યુવતી પ્રેમી સાથે શારીરિક સંબધો રાખતી હતી. એટલું જ નહીં પણ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી. પત્નિએઓ પતિને કહ્યું હતું કે, તમે ના પાડશો તો પણ હું તેની સાથે જઈશ, તમે શું કરી લેશો ? આ બધાથી વ્યથિત થઈને પતિએ આપઘાત કરી લીધો હતો.


આ અંગે યુવકની માતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અંગે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યા બાદ વિરમગામ પોલીસે યુવકની પત્ની અને પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, વિરમગામ ચાંદફળી ખાતે રહેતાં વિધવા લીલાબેન ગોવિંદભાઈ જાદવ (સથવારા)ના પુત્ર મહેશ (ઉં.વ. 42) તારીખ 8 એપ્રિલ 2020ના રોજ ગુમ થયો હતો. મહેશભાઈનીની લાશ લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 10 એપ્રિલ 2020ના રોજ મળી હતી. આ અંગે લખતર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

લીલાબેને પોતાના દીકરાની પત્નિને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુત્રે આપઘાત કર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધવા લખતર પોલીસમાં અરજી આપી હતી. લખતર પોલીસે  આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતાં સામાજિક કાર્યકર કુમાર વિઠ્ઠલભાઈ જાદવ મારફતે લીલાબેને હાઇકોર્ટમાં આ બાબતે અરજી કરી હતી. તાજેતરમાં હાઇકોર્ટે વિરમગામ ટાઉન પોલીસને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ મૃતકની પત્ની અંબિકાબેન મહેશભાઈ જાદવ અને તેના પ્રેમી કિશોર ભગવાનભાઈ ભીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો. તેના પગલે 9 જાન્યુઆરી 2020ના રોજ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આરોપીઓ સામે કેસ નોંધાયો છે.