હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં.
આ ઉપરાંત રવિવારે ભારે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં નદીઓ વહેતી થઈ હતી. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. લોર, ફાચારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખાંભાના પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર, કંટાળા ગામમાં વરસાદ પડ્યો હતો.
અમરેલીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાંભાના પચપચીયાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાયડી ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.