અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર શિક્ષકોને એક પછી એક જવાબદારીઓ સોંપતી જ જાય છે. રાજ્યમાં ઘેર ઘેર ફરીને સર્વે અને પછી વિના મૂલ્યે અપાનારા અનાજના વિતરણની કામગીરી પર નીરિક્ષણની જવાબદારી સોંપ્યા પછી હવે રાજ્ય સરકારે  પ્રાથમિક શાળાના શિક્ષકોને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીના ઘરે-ઘરે જઈને પહોંચાડવા આદેશ કર્યો છે. લોકડાઉનમાં લોકોએ ઘરે રહેવાનું હોય ત્યારે શિક્ષકો બહાર ફરે તેના કારણે તેમને કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ખતરો વધે એ બાબતને નજરઅંદાજ કરાઈ છે.


રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા શિક્ષણ સમિતિઓ તથા શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્રમાં સૂચના આપવામા આવી છે કે, હાલની સ્થિતિમા સ્ટડી ફ્રોમ હોમના સંકલ્પ હેઠળ વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે તથા હાલની સ્થિતિમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાઈ નથી તેથી પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામા આવે.

પરપિત્રમાં આદેશ અપાયો છે કે, દરેક શાળાના શિક્ષકોએ ધોરણદીઠ અને વિદ્યાર્થીદીઠ તમામ વિષયના પ્રશ્નપત્રોના સેટ તૈયાર કરી વિદ્યાર્થી સુધી પહોંચાડવાના રહેશે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને આ પ્રશ્નપત્રોના ઉત્તરો નોટબુકમાં તૈયાર કરે અને આ નોટબુક નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સ્કૂલમાં જમા કરવાની રહેશે. આ ઉપરાંત વેકેશનમાં વિદ્યાર્થીઓ પ્રાથમિક અભ્યાસ કરી  શકે તે હેતુથી વિદ્યાર્થીઓ સરકાર દ્વારા વિના મૂલ્યે અપાયેલાં પુસ્તકો અંદરોઅંદર અથવા શાળા મારફતે મેળવી લે તેવી વ્યવસ્થા  ગોઠવવા પણ સૂચના અપાઈ છે.