અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યમાં સ્કૂલો અને કોલેજો ક્યારે શરૂ કરાશે તે અંગે હવે પછી નિર્ણય લેવાશે એવી જાહેરાત કરી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 26 માર્ચથી લાદેલા લોકડાઉન બાદ આવેલા અનલોક 6ની મુદત 30 નવેમ્બરે પૂરી થઈ જતાં 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અનલોક 7 લાગુ રહેશે એવી જાહેરાત કરાઈ છે. આ માટેની ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.


આ ગાઈડલાઈનમાં જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં સ્કૂલ, કોલેજો ક્યારે શરૂ કરવી તે અંગે હવે પછી નિર્ણય લેવાશે. આ પહેલાં રૂપાણી સરકારે 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી હતી પણ રાજ્યમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય રદ કરાયો હતો. હવે કોરોનાની સ્થિતીમાં સુધારો થાય પછી જ સ્કૂલ, કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

આ ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરાઈ છે કે, રેસ્ટોરન્ટ્સ, હોટલો અને મોલ્સ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગઈ 4 જૂનથી જારી કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ચાલુ રાખવાના રહેશે. જીમ અને યોગ ક્લાસિસ કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે ખુલ્લા રાખી શકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર સિનેમા, થિયેટરો, મલ્ટીપ્લેક્સ 50 ટકા સિટીંગ કેપેસિટી અને એસઓપી પ્રમાણે ચાલુ રાખી શકાશે.

આ ઉપરાતં સ્પષ્ટતા કરાઈ છે કે, સ્વીમિંગ પુલ બંધ રહેશે, પરંતુ રમતવીરો અને તાલીમવીરો માટે એસઓપી પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર બિઝનેસ ટુ બિઝનેસ પ્રદર્શનો વાણિજ્ય વિભાગ દ્વારા 15 નવેમ્બરે બહાર પાડવામાં આવેલા એસઓપી પ્રમાણે યોજી શકાશે. લાયબ્રેરીઓ 60 ટકાની કેપેસિટીથી ચાલુ રાખી શકાશે.