અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે, ત્યારે ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 82.43 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 91,470 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે રાજ્યમાં કુલ કેસો 1,10,971 છે, જ્યારે એક્ટિવ કેસો 16,318 છે.


હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જે ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. આ ત્રણ જિલ્લાની વાત કરીએ તો, ડાંગ, પોરબંદર અને તાપી જિલ્લામાં માત્ર થોડા જ કેસો એક્ટિવ છે. ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસ તાપી જિલ્લામાં છે. જ્યારે સૌથી વધારે એક્ટિવ કેસ અમદાવાદમાં છે. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.

ગુજરાતના ડાંગ જિલ્લાની વાત કરી એ તો, હાલ ડાંગમાં 26 જ એક્ટિવ કેસ છે. કોરોનાથી ડાંગમાં કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી. પોરબંદરમાં પણ ફક્ત 12 એક્ટિવ કેસ છે પણ પોરબંદરમાં 4 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે. તાપી જિલ્લાની વાત કરીએ તો, તાપીમાં હાલ માત્રને માત્ર 10 જ એક્ટિવ કેસ છે જ્યારે 4 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે.