નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે દેશની ટોચની સાયન્સ રીસર્ચ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)એ દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સપ્તાહમાં ત્રણ દિવસના લોકડાઉન અને બાકીના દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના આકરાં પગલાંના કડક અમલ પર ભાર મૂક્યો છે.


ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) દેશમાં મેડિકલ સાયન્સ રીસર્ચમાં ટોચની સંસ્થા છે એ જોતાં તેનાં તારણોને ગંભીરતાથી લઈને દેશભરમાં ત્રણ દિવસનુ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાય એવી શક્યતા નકારી શકાય નહીં. જો કે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ હિલચાલ નહીં હોવાની સ્પષ્ટતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બે દિવસ પહેલાં જ કરી હતી.

આ સંસ્થાએ તાજેતરમાં દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના તારણ પ્રમાણે પ્રમાણે ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં કોરોનાના કેસ 6.2 કરોડથી વધુ થઈ શકે છે જ્યાકે એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મોત થઈ ગયાં હશે. આ અભ્યાસમાં દાવો કરાયો છે કે, સૌથી સારી સ્થિતીમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં કોરોના પીક પર પહોંચી શકે છે. આ તર્ક પ્રમાણે, દેશમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં કોરોનાના કેસની સંખ્યા મહત્તમ 6.20 કરોડ થઈ શકે છે.