છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં 11 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક (છાવણી વિસ્તાર) હરીશ પાટીલે જણાવ્યું હતું કે કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે લગભગ 8.30 વાગ્યે અકસ્માત થયો હતો, જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.






ન્યૂઝ એજન્સી અનુસાર, એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 40 લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને 40 ફૂટ ઊંડી મુરોમ ખાણમાં પડી ગઈ. મુરમ એક પ્રકારની માટી છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે. એસપીના જણાવ્યા અનુસાર, માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની રાયપુર અને ભિલાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.






મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો સીએમએ લખ્યું, 'દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ માહિતી મળી. આ અકસ્માતમાં 11 કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે.


હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકાતુર પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.