નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ ભારતની પ્રશંસા કરવાનું સત્ર છે. હું ભારતનો પક્ષ રજૂ કરવા માટે ઉભો છું. જે લોકો ભારતનો પક્ષ જોઈ શકતા નથી તેમને અરીસો બતાવવા માટે ઉભો છું. તેમણે કહ્યું કે, અમને ગર્વ છે કે 6 અને 7 મેની રાત્રે અમે આતંકવાદીઓને નક્કી કરેલો જવાબ આપ્યો. અમે હુમલો કર્યો અને પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અમે એવો યોગ્ય જવાબ આપ્યો કે આતંકવાદના આકા હજુ પણ જાગી રહ્યા છે. અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો.

પીએમ મોદીએ કહ્યું  22 એપ્રિલના રોજ પહેલગામમાં એક ક્રૂર ઘટના બની હતી. આતંકવાદી હુમલો ક્રૂરતાની ચરમસીમા હતી. નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો નાશ કરીશું. મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.

હું 22 એપ્રિલે વિદેશમાં હતો. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મેં એક બેઠક બોલાવી અને આતંકવાદના આકાઓને યોગ્ય જવાબ આપવા કહ્યું. મેં આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પના બહાર સજા કરવાનો, આતંકવાદીઓનો નાશ કરવાનો મારો સંકલ્પ વ્યક્ત કર્યો. અમને સેનાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે સેનાને ખુલી છૂટ આપી હતી. આતંકવાદીઓના આકાઓએ પણ અનુમાન લગાવ્યું હતું કે ભારત કાર્યવાહી કરશે. ત્યાંથી પરમાણુ હુમલાની ધમકીઓના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. 

અમે એવી જગ્યાએ પ્રવેશ કરીને પણ હુમલો કર્યો જ્યાં અમે પહેલાં ક્યારેય ગયા ન હતા. આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. અમે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને ખોટી સાબિત કરી. ભારતે સાબિત કર્યું કે પરમાણુ બ્લેકમેઇલ કામ કરશે નહીં. આજે પણ, પાકિસ્તાનના ઘણા એરબેઝ ICU માં છે. ઓપરેશન સિંદૂર સફળ રહ્યું. છેલ્લા 10 વર્ષની તૈયારીઓને કારણે આ સફળતા મળી.