નવી દિલ્લીઃ કોંગ્રેસના 23 ટોચના નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગ કરી છે. કોંગ્રેસમાં બળવા જેવી સ્થિતી હોવા તરફ ઈશારો કરતા આ પત્રમાં પક્ષ પ્રમુખ તરીકે પૂર્ણ સમયના અને અસરકારક નેતાને નિમવાની તરફેણ કરાઈ છે. આ ઉપરાંત પત્રમાં કહેવાયું છે કે, દેશના યુવા મતદારોએ નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. કોંગ્રેસમાંથી યુવા મતદારોએ વિશ્વાસ ગુમાવી દીધો છે અને કોંગ્રેસના સમર્થનમાં ધોવાણ થયું છે એ ગંભીર બાબત છે. આ મુદ્દાને રાહુલ ગાંધી ના નેતૃત્વ સામેના સવાલ તરીકે જોવામાં આવે છે કેમ કે રાહુલ ગાંધીને કોંગ્રેસ યુવા નેતા તરીકે આગળ કરી રહી છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસમાં યુવા નેતૃત્વને આઘળ લકરવા પર ભાર મૂકી રહ્યા છે.


આ પત્રમાં સહી કરનારમાં આ પત્ર લખનારાઓમાં 5 ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ અને ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. સહી કરનારામાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબલ, મનિષ તિવારી. શશી થરૂર, વિવેક તનખા, મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, ભૂપિન્દરસિહં હૂડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચવ્હાણ, પી.જે. કુરીયન, અજયસિંહ, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવરા, અરવિન્દરસિહં લવલી, કૌલસિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ શર્મા, યોગેન્દ્ર સાસ્ત્રી અને સંદીપ દિક્ષીતની સહી છે.

પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સતત આગળ વધી રહ્યો છે, અગાઉની ચૂંટણીમાં યુવાનોએ નરેન્દ્ર મોદીને મોટા પ્રમાણમા મત આપ્યા હતા. કોંગ્રેસનો આધાર ઓછો થવા અને યુવાનોનો પક્ષ પરથી આત્મવિશ્વાસ તૂટવા અંગે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ 15 દિવસ પહેલા મોકલવામાં આવેલા આ લેટરમાં એવો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે, જેની વાતો કદાચ હાલની લીડરશિપને ખૂંચી શકે છે.