નવી દિલ્હીઃ દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાંથી એક ચકચારી ભરેલી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાની પુત્રવધુના ચારિત્ર્ય પર શંકા જતા તેની કરપીણ હત્યા કરી નાંખી, એટલુ જ નહીં તેને કુલ ચાર જણાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુરૂગ્રામમાં ચાર લોકોની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી હોવાની વાત સામે આવતા પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. 


આ ઘટના ગુરૂગ્રામના રાજેન્દ્ર પાર્કની છે. અહીં એક મકાન માલિકને શક હતો કે તેની પુત્રવધુ અને તેના ભાડૂઆત વચ્ચે કંઇક અનૈતિક સંબંધો છે. અહીં ભાડે રહેતા પુરુષ વચ્ચે તેની પુત્રવધુના અફેરની વાત પર તેને શંકા હતી, અને ત્યારબાદ મકાન માલિકે આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં તેને કુલ 4 લોકોની હત્યા કરી નાંખી હતી. માહિતી પ્રમાણે, તેણે પુત્રવધુ, ભાડુઆત, ભાડુઆતની પત્ની અને તેના એક બાળકની હત્યા કરી દીધી અને એક બાળકી હુમલામાં ઘાયલ થઈ ગઈ હતી. જોકે, ખાસ વાત છે કે હત્યાની ઘટનાને અંજામ આપનારો મકામ માલિક આરોપી ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કરી દીધુ હતુ. 


ગુરુગ્રામ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, ડીસીપીએ આ ઘટના અંગે કહ્યું કે, અમને રૂમમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. અત્યારે એક બાળકી ઘાયલ છે. તેને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અત્યારે આ ઘટનાની તપાસ ચાલી રહી છે.