વિજ્ઞાનીઓએ માનવ જીવનકાળ વધારવાના મહત્વના સૂત્ર તરફ એક મોટું પગલું ભર્યું છે  અને તેનો સ્ત્રોત છે સમુદ્રનું વિશાળ પ્રાણી, બોહેડ વ્હેલ. આ વ્હેલ પૃથ્વી પરના સૌથી લાંબા સમય સુધી જીવતા સસ્તન પ્રાણીઓમાં સામેલ છે અને તે 200 વર્ષ સુધી જીવવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે, તે બીમારીઓ સામે પણ અત્યંત પ્રતિરોધક છે, જેના કારણે વૃદ્ધાવસ્થા પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો માટે તે ખાસ રસપ્રદ બની છે.

University of Rochesterના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે, બોહેડ વ્હેલમાં CIRBP નામનું DNA રિપેર પ્રોટીન માનવની સરખામણીએ લગભગ 100 ગણું વધુ પ્રમાણમાં હોય છે. આ પ્રોટીન DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે—જે નુકસાનથી બીમારીઓ અને ઓછી આયુષ્ય થઈ શકે છે.                         

આ અભ્યાસ Natureમાં પ્રકાશિત થયો છે. તેમાં જાણવા મળ્યું કે CIRBP પ્રોટીનની વધુ માત્રા વ્હેલને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે.

પ્રયોગશાળામાં કરાયેલા પરીક્ષણોમાં આશ્ચર્યજનક પરિણામ મળ્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ બોહેડ વ્હેલનું CIRBP પ્રોટીન માનવ કોષો અને ફ્રૂટ ફ્લાય (ફળમાખી)ના કોષોમાં ઉમેર્યું, ત્યારે DNA રિપેર પ્રક્રિયા સુધરી ગઈ. માખીમાં તો આયુષ્ય પણ વધ્યું.

વિજ્ઞાનીઓએ વધુમાં જાણવા મળ્યું કે,  ઠંડું હવામાન  CIRBP પ્રોટીનને સક્રિય બનાવવામાં મદદ કરે છે. બોહેડ વ્હેલ ઠંડા આર્કટિક પાણીમાં રહે છે, જ્યાં આ પ્રોટીનનું ઉત્પાદન કુદરતી રીતે વધે છે.

વૈજ્ઞાનિકો હવે માનવોમાં CIRBP સ્તર વધારવા માટે અનેક રીતો પર વિચાર કરી રહ્યા છે, જેમાં ઠંડા સ્નાન જેવા જીવનશૈલીમાં ફેરફારનો સમાવેશ થાય છે, જોકે  આ બધા જ તારણ પર પહોંચવું થોડું જલદી હશે કારણ કે, આ નિષ્કર્ષ  હજુ વધુ સંશોધનની  ચેતવણી આપે છે. એક જ DNA રિપેર પ્રોટીન મોડેલ ઓર્ગેનિઝમમાં આયુષ્ય વધારી શકે છે તે વાતે સંશોધકોને નવી પ્રેરણા આપી છે કે, DNA રિપેર પ્રક્રિયા સુધારવાથી માનવોમાં વધુ સ્વસ્થ વૃદ્ધાવસ્થા કેવી રીતે મેળવી શકાય, એવું University of Sheffield દ્વારા જણાવાયું છે. જોકે માનવનું આયુષ્ય 200 વર્ષ સુધી પહોંચવું હજી હકીકતથી ઘણું દૂર છે,  જો કે આ શોધ વૃદ્ધાવસ્થા વિજ્ઞાનમાં નવી આશાના દરવાજા ખોલે છે.