Seema Haider News: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલો થયો છે. આ હુમલો ૩ એપ્રિલ, શનિવારના રોજ થયો હતો. મળતી માહિતી મુજબ, યુવકની ઓળખ ગુજરાતના રહેવાસી તેજસ ઝાની તરીકે થઈ છે. ઝાની ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઝાની ગુજરાતથી દિલ્હી આવ્યા હતા અને પછી ત્યાંથી રાબુપુરા પહોંચ્યા.
મળતી માહિતી મુજબ, આ ઘટના 3 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે બની હતી. એક યુવકે સીમાના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો. યુવકે પહેલા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી અંદર ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવવાનું શરૂ કર્યું.
સીમાએ તરત જ એલાર્મ વગાડ્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુવકને માર માર્યો. બીજી તરફ, સીમાએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી. સીમાના ફોન બાદ સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.
પોલીસે શું કહ્યું?
પોલીસે યુવકની ધરપકડ કરી અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો. એસીપી સાર્થક સેંગરે જણાવ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. યુવકના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. સેંગરે કહ્યું કે, ઝાનીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે, સીમાએ તેના પર કાળો જાદુ કર્યો હતો.
સીમા હૈદર ક્યારે ભારત આવી?
સીમા હૈદર વર્ષ 2023માંપાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવી હતી. તેણીએ દાવો કર્યો હતો કે PUBG રમતી વખતે નોઈડાના રહેવાસી સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. જે પછી તે નેપાળ આવી અને ત્યાં સચિન સાથે લગ્ન કર્યા.
તેમના વકીલનો દાવો છે કે સીમા હૈદરે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને તે સનાતની મહિલા છે. તાજેતરમાં, જ્યારે ભારતે પાકિસ્તાનથી આવતા બધા લોકોના વિઝા રદ કર્યા, ત્યારે ચર્ચા શરૂ થઈ કે શું સીમા પણ પાછા જશે. આ અંગે તેમના વકીલ એપી સિંહે પણ નિવેદન આપ્યું હતું કે તેમનો કેસ એટીએસ પાસે છે અને તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
એપી સિંહે એમ પણ કહ્યું હતું કે સીમાનો કેસ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે અને કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ, તે નોઈડા છોડીને ક્યાંય જશે નહીં. તે તપાસ વગેરે બાબતોમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપે છે.