AAP leaves INDIA Alliance: લોકસભા ચૂંટણી પછી પણ રાજકારણમાં ગરમાવો યથાવત્ છે. સોમવારે (8 જૂને) દિલ્હીમાં વિપક્ષી દળોના 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. પરંતુ આ બેઠક પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક મોટો રાજકીય ધડાકો કર્યો છે. સંજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી. આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે.

Continues below advertisement

સંજય સિંહે શું કહ્યું?

રાયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જ્યારે સંજય સિંહને દિલ્હીની બેઠક વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સીધો જ જવાબ આપતા કહ્યું કે, "આમ આદમી પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનની સભ્ય નથી. તેથી જો અમે તેમની બેઠક કે તેમના કામકાજ પર કોઈ ટિપ્પણી કરીએ તો તે સારું નહીં લાગે. ગઠબંધન ભવિષ્ય માટે કેવી રણનીતિ બનાવશે તે અંગે તેઓ જ તમને વધુ સારી રીતે જણાવી શકશે."

Continues below advertisement

કોંગ્રેસ માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે: પ્રિયંકા કક્કર

સંજય સિંહ ઉપરાંત AAP ના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગમે તે ગઠબંધન બનાવે, તેનો હેતુ દેશને મજબૂત કરવાનો નહીં પણ માત્ર પોતાને મજબૂત કરવાનો હોય છે. તેમણે કોંગ્રેસ પર યુવાનો વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, "ગઈકાલે પણ અમે કોંગ્રેસને દેશના યુવાનોની વિરુદ્ધ ઊભેલી જોઈ હતી. જે પાર્ટી યુવાનોની વિરુદ્ધ હોય, તેની સાથે અમે કેવી રીતે ઊભા રહી શકીએ?"

આ પણ વાંચોઃ અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી? રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી આપ્યો જવાબ, કહ્યું - 7 સાંસદ ખોટા...

"કોંગ્રેસે પીઠમાં ખંજર ભોંક્યું"

પ્રિયંકા કક્કરે તમિલનાડુ અને હિમાચલ પ્રદેશનું ઉદાહરણ આપતા કોંગ્રેસને નિશાના પર લીધી હતી. તેમણે કહ્યું, "અમે જોયું છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના એક જ દિવસ પછી કોંગ્રેસે પોતાના જ ગઠબંધન ભાગીદારની પીઠમાં છરો માર્યો હતો. આ ઉપરાંત હિમાચલની નગરપાલિકાની ચૂંટણીઓમાં જ્યારે ભાજપ સામે સીધી લડાઈ હતી, ત્યારે કોંગ્રેસની કેવી ખરાબ હાર થઈ તે પણ દેશ જોઈ રહ્યો છે. દેશમાં કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ ભાજપને સીધી લડાઈમાં હરાવવા સક્ષમ નથી."

હવે કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી

પોતાની વાત પૂરી કરતા પ્રિયંકા કક્કરે સ્પષ્ટ કર્યું કે, "અમે તો લોકસભા ચૂંટણીથી જ સતત કહી રહ્યા છીએ કે હવે અમે કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરીએ. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસે કેવી રીતે માત્ર આમ આદમી પાર્ટીને હરાવવાના ઇરાદાથી જ ચૂંટણી લડી હતી તે આખા દેશે જોયું છે અને તેમના ખુદના દિલ્હી પ્રમુખે પણ આ વાત જાહેરમાં સ્વીકારી હતી. આ બધું જોયા પછી હવે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનનો સવાલ જ ઊભો થતો નથી."

આ પણ વાંચોઃ ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ: જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?