જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJPની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યયોજનાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ દીપકેએ 15 ઑગસ્ટના વડાપ્રધાનના ભાષણ અંગે પોતાની માંગ વ્યક્ત કરી.
અભિજીત દીપકેએ કહ્યું, "15 ઑગસ્ટ આવી રહ્યો છે. દર વર્ષે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે. અમારી ઇચ્છા છે કે આ વખતે તેમનું ભાષણ ખાસ કરીને Gen Z અને યુવાનો માટે હોય. તેઓ પોતાના ભાષણમાં જણાવે કે સરકાર યુવાનો માટે શું કરી રહી છે અને તેમને વધુ સારું ભવિષ્ય કેવી રીતે આપી શકે છે. હું દેશના લોકોને પણ અપીલ કરું છું કે આગામી એક અઠવાડિયા સુધી તેઓ પણ વડાપ્રધાનને વિનંતી કરે કે આ વખતનું ભાષણ યુવાનોને સમર્પિત હોય."
આ પણ વાંચો: CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CJP શરૂ કરશે નવું અભિયાન
6 ઑગસ્ટે અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં એક નવું અભિયાન શરૂ કરશે, જેના દ્વારા સીધો જનતા સાથે સંવાદ સાધી શકાશે. આગામી મહિને સમગ્ર દેશમાં લોકો સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને મુદ્દાઓ જાણવા માટે 'क्या बोलती है पब्लिक' (શું કહે છે જનતા?) નામનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી દીપકેએ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
'સરકારનો ડર હવે ખતમ થયો'
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મોટી સફળતા ગણાવતા અભિજીત દીપકેએ કહ્યું, "છેલ્લા 10-12 વર્ષમાં સરકારે લોકોના મનમાં જે ડર ઉભો કર્યો હતો, તે હવે સમાપ્ત થઈ ગયો છે. હવે લોકો રસ્તા પર ઉતરશે. આજે તેમણે એક વ્યક્તિનું રાજીનામું માંગ્યું છે, કાલે તેઓ અન્ય લોકોના પણ રાજીનામાની માંગ કરશે."
