C-Voter Survey On Modi Vs Kejriwal: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election 2024) ની પહેલા ભાજપ  (BJP) સહિત તમામ વિરોધપક્ષોએ તૈયારીઓ શરુ કરી દિધી  છે. શું અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી(PM Modi) ને પડકાર આપી શકશે ? આ સવાલ બધા લોકોના મનમાં છે. આ દરમિયાન સી-વોટરે એબીપી ન્યૂઝ માટે એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં લોકોએ આ પ્રશ્નનો ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો છે.


આ સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું કે શું લોકો અરવિંદ કેજરીવાલને 2024માં નરેન્દ્ર મોદી માટે પડકાર માને છે. આના જવાબમાં 63 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો જ્યારે 37 ટકા લોકો માને છે કે તેઓ કેજરીવાલને નરેન્દ્ર મોદી માટે પડકાર નથી માનતા.


દિલ્હીથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો આજે તેઓ પ્રાદેશિક રાજકારણ છોડીને રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટીની વિશ્વસનીયતા વધારવામાં વ્યસ્ત છે. કેજરીવાલે બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા પછી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. જો કે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં જ જીતી શકી. પંજાબમાં જીતથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે.


AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતે આ વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી છે. તેઓ સતત ગુજરાત અને હિમાચલનો પ્રવાસ કરે છે. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. અરવિંદ કેજરીવાલે પોતાની રણનીતિ બદલીને ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. કેજરીવાલ ગુજરાતમાં સતત રેલીઓ કરી રહ્યા છે.


ગુજરાત માટે અનેક જાહેરાતો કરી


દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે ગુજરાત માટે પણ અનેક ગેરંટીની જાહેરાત કરી છે. કેજરીવાલે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફી, ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો, 300 યુનિટ સુધી મફત વીજળી, 10 લાખ સરકારી નોકરીઓ સહિત ઘણી મોટી જાહેરાતો કરી છે. તેઓ ફરી એકવાર 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. જણાવી દઈએ કે તેમની પાર્ટીએ 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 29 ઉમેદવારોની ત્રણ યાદી પહેલાથી જ જાહેર કરી દીધી છે.