Fact Check: દેશમાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDA ગઠબંધનની સરકાર બની છે. આ સાથે, અગ્નિપથ યોજનાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા જઈ રહી છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ પણ સરકારને આ યોજનાની સમીક્ષા કરવા માટે આગ્રહ કર્યો છે.


સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે "સૈનિક સન્માન યોજના" નામની અગ્નિવીર યોજનાને ફરીથી શરૂ કરી છે, જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ દાવા સાથે સંકળાયેલા પત્રને ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.


દાવામાં શું કહેવામાં આવ્યું છે:



  • સરકારે અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરી દીધો છે.

  • પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

  • 25% ની જગ્યાએ 60% અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે.


અમે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે તપાસ કરી. પોસ્ટ ધ્યાનથી વાંચ્યા પછી તેમાં ઘણી અચોક્કસતા જોવા મળી. કાયમી, પેન્શન અને ગેરેન્ટી જેવા અંગ્રેજી સ્પેલિંગ ખોટા લખાયા છે, જ્યારે સરકારી પત્રો કે નોટિસમાં આવી ભૂલો થતી નથી. સંરક્ષણ વિભાગ અને અન્ય સરકારી વેબસાઈટ પર સર્ચ કર્યા પછી પણ આવી કોઈ માહિતી મળી નથી.






પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે પણ આ પોસ્ટને નકલી જાહેર કરી છે. PIBએ X પર પોસ્ટ કર્યું કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'એક નકલી વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્નિપથ સ્કીમને ઘણા ફેરફારો સાથે 'સૈનિક સન્માન સ્કીમ' નામથી ફરી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.