નવી દિલ્હી: ખેડૂતોને લાગતા બે બિલને લઈને સંસદથી રસ્તા સુધી ઘમાસાણ મચી ગયું છે. ગુરુવારે વિરોધની વચ્ચે આ બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. શિવસેનાએ લોકસભામાં તો આ બિલને સમર્થન આપ્યું પરંતુ રાજ્યસભામાં વિરોધ કરવાનું એલાન કર્યું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાા જણાવ્યું કે, આંખ બંધ કરીને અમે આ બિલનું સમર્થન નહીં કરીએ. વિપક્ષ હંગામો નથી કરી રહ્યું પરંતુ હંગામો એનડીએમાં છે.


સંજય રાઉતે કહ્યું કે, સરકારને ખેડૂતોની ચિંતા નથી. અકાલી દળે બગાવત કરી છે. તે મહત્વનું છે. પંજાબ એક કૃષિ પ્રધાન રાજ્ય છે. ત્યાંના ખેડૂતો સમગ્ર દેશમાં પ્રેરણા આપે છે. સરકાર જે બિલ લાવી છે તેની વિરુદ્ધ આ બગાવત છે. તેઓ કોઈની સાથે વાતચીત નથી કરતા. તમે અમારી સાથે વાત નથી કરતા છેવટે એનડીએના ઘટક દળો સાથે વાતચીત કરો. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી. ખેડૂતોના હિતની લડાઈ છે. રાજીનામા પહેલા મંત્રી મહોદયે (હરસિમરત કૌર બાદલ) જે વાત મૂકી હતી તેના પર વિચાર કરવા જેવું છે. તેમના રાજીનામાં બાદ આ મામલો લોકોની સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિરોધ વચ્ચે ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે. કોગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. જે બે બિલ પાસ કરવામાં આવ્યા છે તે ‘ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020,’ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.