air india dope test scandal: 4 ઓગસ્ટના રોજ ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 માં મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. હવામાં ઉડતું વિમાન અચાનક નીચે ખાબકતા થયેલી અશાંતિ અને મુસાફરોની ઈજા અંગે ચાલી રહેલી તપાસમાં હવે એક ખૂબ જ ચોંકાવનારો અને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટ ઉડાડતા પાઇલટ-ઇન-કમાન્ડ (કેપ્ટન) નો પ્રાથમિક ડોપ સ્ક્રીનીંગ ટેસ્ટ નેગેટિવ નહોતો આવ્યો. આનો સીધો અર્થ એ થાય છે કે પ્રાથમિક રિપોર્ટમાં જ કંઈક એવું શંકાસ્પદ મળ્યું હતું જેના માટે વધુ સચોટ પરીક્ષણ (કન્ફર્મેશન ટેસ્ટ) ની જરૂર પડી હતી.
જોકે, માત્ર સ્ક્રીનીંગ ટેસ્ટને અંતિમ પુરાવો માનવામાં આવતો નથી, કારણ કે અમુક સામાન્ય દવાઓ કે અન્ય કારણોસર પણ આ ટેસ્ટ ક્યારેક 'ફોલ્સ પોઝિટિવ' (ખોટો પોઝિટિવ) આવી શકે છે.
બીજા ટેસ્ટમાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો!
પ્રાથમિક શંકા બાદ, પાઇલટનું સેમ્પલ વધુ સચોટ વિશ્લેષણ અને 'કન્ફર્મેશન ટેસ્ટ' માટે નિયુક્ત લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબમાં GC/MS અથવા LC-MS જેવી અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, સૂત્રોના મતે આ બીજા અને વધુ સચોટ રિપોર્ટમાં પણ પાઇલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ જ આવ્યો છે. એટલે કે પ્રાથમિક તપાસની શંકાઓ બીજા ટેસ્ટમાં સાચી પડી છે.
બંને પાઇલટને ફ્લાઇંગ ડ્યુટીમાંથી હટાવાયા
આ ગંભીર ખુલાસા બાદ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બંને પાઇલટ્સને ફ્લાઇંગ રોસ્ટર (ડ્યુટી) માંથી તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જોકે, ફ્લાઇટ હવામાં અચાનક નીચે કેમ ખાબકી અને તેનો સીધો સંબંધ પાઇલટના નશા (પોઝિટિવ ડોપ ટેસ્ટ) સાથે હતો કે કેમ, તે તો વિસ્તૃત તપાસ પૂરી થયા પછી જ સ્પષ્ટ થઈ શકશે.
શું બની હતી ઘટના?
4 ઓગસ્ટના રોજ, 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ (2 પાઇલટ અને 6 કેબિન ક્રૂ) ને લઈને એર ઇન્ડિયાનું A320 એરક્રાફ્ટ (VT-EXO) ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું. જ્યારે ફ્લાઈટ ક્રૂઝ તબક્કામાં એટલે કે હવામાં હતી, ત્યારે અચાનક જ વિમાને આશરે 300 ફૂટ જેટલી ઊંચાઈ ગુમાવી દીધી હતી અને તે નીચે ખાબક્યું હતું. સદનસીબે વિમાન ફરી સ્થિર થઈ ગયું હતું અને તેનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું.
આ અણધારી ઘટનામાં કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આવી કોઈપણ ગંભીર ઘટના પછી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું કડક પાલન કરવામાં આવે છે અને તે જ નિયમ મુજબ બંને પાઇલટ્સનો 'મનોવૈજ્ઞાનિક પદાર્થ સ્ક્રીનીંગ' (સાયકોએક્ટિવ સબસ્ટન્સ) ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
