મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મુંબઈથી બારામતી જઈ રહેલું એક ખાનગી વિમાન બુધવારે સવારે ક્રેશ થયું. આ અકસ્માતમાં અજિત પવારનું નિધન થયું છે. આ ઘટના પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર બારામતી એરપોર્ટ નજીક બની હતી. તેમાં સવાર અન્ય ચાર લોકોમાં બે પાયલટ, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને એક પર્સનલ સિક્યોરિટી ઓફિસરનો સમાવેશ થાય છે. તેમની ઓળખ કેપ્ટન સુમિત કપૂર, ફર્સ્ટ ઓફિસર શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ તરીકે થઈ છે. આઠ સીટર ખાનગી જેટ બોમ્બાર્ડિયર પરિવારની માલિકીનું લિયરજેટ 45 હતું.

અકસ્માત કેવી રીતે થયો

પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી અને ખરાબ વિઝિબિલિટીના કારણે આ દુ:ખદ ઘટના બની હશે. અકસ્માત સમયે જમીન પર ગાઢ ધુમ્મસ હતું. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AACIB) એ તપાસ શરૂ કરી છે. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિમાન નીચે ઉતરતું દેખાય છે. અચાનક તે ડાબી તરફ ઝૂકતું જોવા મળી રહ્યું છે અને બાદમાં ક્રેશ થયું હતું. આ ટેકનિકલ સમસ્યાનો સંકેત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ક્રૂએ કોઈ ઇમરજન્સી કોલ (મેડે કોલ) કર્યો ન હતો, જે દર્શાવે છે કે ક્રૂને પ્રતિક્રિયા આપવા માટે સમય મળ્યો ન હતો. બ્લેક બોક્સ હવે આ અકસ્માતનું રહસ્ય ખોલશે.

Continues below advertisement

Continues below advertisement

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શું કહ્યું

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યે મુંબઈથી ઉડાન ભરનાર વિમાને સવારે 8:18 વાગ્યે બારામતી એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. વિમાને રનવે દેખાતો ન હોવાની જાણ કરી અને ગો અરાઉન્ડ એટલે કે ફરીથી ચક્કર લગાવવાનો પ્રયાસ કર્યો. સવારે 8:43 વાગ્યે જ્યારે ક્રૂએ રનવે દેખાતો હોવાની પુષ્ટી કરી, ત્યારે વિમાનને લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.  પ્રત્યક્ષદર્શીઓએ ક્રેશ થયા પહેલા વિમાનને સંતુલન ગુમાવતા જોયાની જાણ કરી હતી. નજીકના ગોજુબાવી ગામની રહેવાસી અનિતા આઠવલેએ જણાવ્યું હતું કે વિમાન ખૂબ જ નીચું ઉડતું હતું અને એક વખત ચક્કર લગાવ્યું હતું.  સીસીટીવી ફૂટેજમાં પણ આવા જ ફૂટેજ જોવા મળ્યા, જેમાં વિમાનની પાંખો અસ્થિર ડિગ્રી પર ઝૂકતું જોવા મળી રહ્યું છે.