Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા 2026નો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે (2 જુલાઈ) જમ્મુથી અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગર માટે રવાના થયો હતો. આ જથ્થો સાંજ સુધી શ્રીનગર પહોંચશે. આ વર્ષે પ્રથમ વખત બાબા બરફાનીના દર્શન કરવા આવનારા યુવાનોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે.

Continues below advertisement

ગુરુવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રીઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. "બમ બમ ભોલે"ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Continues below advertisement

 

પ્રથમ વખત યાત્રા કરનારા યુવાનોમાં ભારે ઉત્સાહ

રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનેક શ્રદ્ધાળુઓ પ્રથમ વખત અમરનાથ યાત્રામાં જોડાયા છે. તેમનું કહેવું છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી આ પવિત્ર યાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યાત્રાને લઈને તેમના મનમાં કોઈ ડર કે ભય નથી. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે, “જ્યારે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યારે અમે તરત જ નોંધણી કરાવી હતી. બાબા બરફાનીના પ્રથમ દર્શન કરવાનો અને પ્રથમ જથ્થામાં સામેલ થવાનો અમને વિશેષ સદભાગ્ય મળ્યું છે.”

70 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત

આ વર્ષની યાત્રાને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં 70 હજારથી વધુ વધારાના સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસ, બીએસએફ, સીઆરપીએફ અને ભારતીય સેના પણ યાત્રાળુઓની સુરક્ષા માટે સતત તૈનાત છે. યાત્રાળુઓના કાફલા સાથે સીઆરપીએફના જવાનો અને કોબ્રા કમાન્ડો પણ સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર યાત્રાના કાફલાને વિશેષ સુરક્ષા હેઠળ એસ્કોર્ટ કરવામાં આવે છે.

શુક્રવારથી બાબા બરફાનીના દર્શન

બાલટાલ અને પહલગામ પહોંચ્યા બાદ યાત્રાળુઓ શુક્રવારે સવારે પવિત્ર અમરનાથ ગુફા તરફ પ્રસ્થાન કરશે. યાત્રા દરમિયાન હાઇવે પર અન્ય વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને સમગ્ર માર્ગને સુરક્ષાના કારણોસર સીલ કરવામાં આવે છે.

અમરનાથ યાત્રા તમામ રેકોર્ડ તોડશે: ભાજપ

ભાજપના નેતા પ્રતિપક્ષ સુનીલ શર્માએ દાવો કર્યો છે કે, આ વર્ષની અમરનાથ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે છે. તેમણે જણાવ્યું કે શ્રદ્ધાળુઓમાં અદભૂત ઉત્સાહ અને અખંડ આસ્થા જોવા મળી રહી છે.

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સુનીલ શર્માએ કહ્યું કે, “યાત્રાળુઓને સુરક્ષા દળો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ યાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરની ઓળખ પણ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવીને ભગવાન ભોલેનાથના દર્શન કરે છે.” તેમણે ઉમેર્યું કે યાત્રા દરમિયાન હવામાન, ભૂગોળ અને સુરક્ષા સંબંધિત અનેક પડકારો હોવા છતાં સરકાર અને સુરક્ષા એજન્સીઓ તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે યાત્રાને સફળ બનાવવા પ્રતિબદ્ધ છે.