Amarnath Yatra: ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે અને અનેક ઠેકાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે હવે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ખુદ અધિકારીઓએ આપી છે. તેમને કહ્યું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી મુસાફરોની અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે અમરનાથ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવશે. કોઈને પણ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.


કેમ્પોમાં રોકવામાં આવ્યા યાત્રીઓને - 
અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, "યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી." તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. 


તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા સવારે લગભગ 4.45 વાગ્યે જમ્મુના બેઝ કેમ્પથી 7,000થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ 247 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી ખીણ તરફ આગળ વધ્યા હતા.


કુલ આટલા લોકો કરી ચૂક્યા છે યાત્રા - 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4,600 યાત્રાળુઓને લઈને 153 વાહનોનો કાફલો પહેલગામ જઈ રહ્યો હતો, જ્યારે 2,410 શ્રદ્ધાળુઓને લઈને 94 વાહનોનો બીજો કાફલો સવારે 4.45 વાગ્યે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. આ વર્ષે 30 જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી જમ્મુ બેઝ કેમ્પથી કુલ 43,833 શ્રદ્ધાળુઓ ખીણ તરફ રવાના થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓની સંખ્યા 84,000ને વટાવી ગઈ છે.




દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,888 મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા, અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બંને માર્ગોથી શરૂ થઈ હતી. આ યાત્રા 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રૉલ સેન્ટર (ICCC) દ્વારા સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. તમામ વિભાગો ICCC તરફથી દેખરેખ રાખે છે અને યાત્રાળુઓની જરૂરિયાતોને પહોંચી વળવા તેમના સ્ટાફને માહિતી મોકલે છે.