Amit Shah On Nitish Kumar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતાં. અમિત શાહે કહ્યું હતું કે, નીતિશ બાબુ, તમે વડાપ્રધાન બનવા માટે વિકાસવાદીમાંથી તકવાદી બન્યા. કોંગ્રેસ અને આરજેડીનો સહારો લીધો. નીતિશ બાબુની પીએમ બનવાની મહત્વાકાંક્ષાએ બિહારનું વિભાજન કર્યું અને રાજ્યને ડુબાડી દીધું.


અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, નીતિશ કુમાર દર 3 વર્ષે પીએમ બનવાનું સપનું જુએ છે તે તો તમે સૌકોઈ જાણો છો. જે કોંગ્રેસ સામે જયપ્રકાશ નારાયણ આજ સુધી લડ્યા હતા, જે જંગલ રાજાની સામે ભાજપ સાથે એનડીએની સરકાર બની હતી, તે આજે જંગલ રાજાના પ્રણેતા લાલુ પ્રસાદના ખોળામાં જઈને બેસી ગયા.


'અપવિત્ર છે ગઠબંધન'


ભાજપના વરિષ્ઠ નેતા શાહે કહ્યું હતું કે, નીતિશ કુમારે ઘણા વર્ષો સુધી 'આયા રામ ગયા રામ' કર્યું, હવે તેમના માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વખતે એવો પાઠ ભણાવો કે બિહારમાં પક્ષપલટો કરનારાઓ ચૂપ થઈ જાય. આમાંથી છુટકારો મેળવવાનો એકમાત્ર જ રસ્તો છે કે બે તૃતિયાંશ બહુમતી સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર બનાવો અને નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવો.


તેમણે વધુમાં કહ્યું હતું કે, હું બિહારના લોકોને અપીલ કરવા આવ્યો છું કે, જેડીયુ અને આરજેડીનું આ અપવિત્ર ગઠબંધન પાણી અને તેલ જેવું છે. જેડીયુ પાણી છે અને આરજેડી તેલ છે. તેમણે દાવો કર્યો હતો કે, આજે સમગ્ર બિહારમાં સ્થિતિ અસ્તવ્યસ્ત છે. ગુનાખોરી ફરી વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા તો જાણે ખતમ જ થઈ ગઈ છે. હત્યા, અપહરણ, લૂંટ, બળાત્કારના કિસ્સાઓ દિવસેને દિવસે વધવા લાગ્યા છે.


"જો તમારામાં હિંમત હોય તો...." 


અમિત શાહે કહ્યું હતું કે, નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું છે, પરંતુ તેઓ તારીખ નથી જણાવતા. તેમને જણાવવું જોઈએ કે, તેઓ ક્યારે મુખ્યમંત્રી બનાવશે અને નીતિશ બિહારમાં ફરી જંગલરાજ લાવશે. તેમણે ઉમેર્યું હતું કે, હું પીએમ મોદીના કામનો હિસાબ લઈને આવ્યો છું, જો તમારી (નીતીશ કુમાર)માં હિંમત હોય તો કોંગ્રેસ અને આરજેડીનો હિસાબ બિહારની જનતાની સામે મુકી બતાવો.