નવી દિલ્હી: દેશના ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જાહેરાત કરી કે સરકારે સંવિધાનના અનુચ્છેદ 370ને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ તેને લઈને તમામ લોકો પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. એવામાં બોલીવૂડ સ્ટાર્સ પણ પાછળ નથી. હંમેશા ભાજપની નીતિઓ અને નિર્ણયની સરાહના અને પીએમ મોદીના વખાણ કરનારી બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.


કંગના રનૌતે કહ્યું, 'અનુચ્છેદ 370ને રદ્દ કરવાને લઈને છેલ્લા ધણા સમયથી વાતો ચાલી રહી હતી. આ આતંકવાદ મુક્ત રાષ્ટ્રની દિશામાં એક ઐતિહાસિક પગલુ છે. હું તેના પર ખૂબ લાંબા સમયથી જોર આપી રહી હતી, અને મને ખબર હતી કે કોઈપણ અસંભવ ઉપલબ્ધિને હાંસલ કરી શકે છે તો તે માત્ર પીએમ મોદીજી છે. તેઓ ન માત્ર દૂરદર્શી છે પરંતુ સાહસી અને તાકતવર વ્યક્તિ છે.'


કંગનાએ આગળ વાત કરતા લખ્યું, 'હું આ ઐતિહાસિક દિવસ પર જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ભારતને શુભેચ્છા આપુ છું, આપણે એક સાથે મળી ખૂબ ઉજ્જળ ભવિષ્ય જોઈ રહ્યા છીએ.'