Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં પોલીસે FIR નોંધી છે. ખુદ મુખ્યમંત્રી હિમતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, "કોંગ્રેસના સભ્યો દ્વારા આજે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસકર્મીઓ પર હુમલાના સંદર્ભમાં, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 120 (બી) 143/147/188/283/353/332/333/427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે."


આ પહેલા મંગળવારે (23 જાન્યુઆરી) રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. આ પછી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને બેરિકેડ તોડી નાખ્યા. આ પછી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે ડીજીપીને કેસ નોંધવાની સૂચના આપવામાં આવી છે.


સરમાએ કેસ નોંધવા સૂચના આપી હતી


મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, "મેં આસામ પોલીસના મહાનિર્દેશકને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે."


તેમણે કહ્યું, “આ આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી નક્સલવાદી રણનીતિઓ આપણી સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ છે. તમારા બેજવાબદાર વર્તન અને માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે, હવે ગુવાહાટીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે.






રાહુલ ગાંધીએ જવાબ આપ્યો


કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "આસામના મુખ્યમંત્રી જે કંઈ પણ કરી રહ્યા છે, યાત્રાને ફાયદો થઈ રહ્યો છે. જે પ્રચાર અમને નથી મળતો, તે અમને મળી રહ્યો છે. આમાં આસામના મુખ્યપ્રધાન  અને કદાચ તેમના "ગૃહમંત્રી અમિત શાહ અમને મદદ કરી રહ્યા છે. આજે આસામમાં યાત્રા મુખ્ય મુદ્દો બની ગયો છે."   


આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરમા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે. સરમાએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે.