Bajrang Punia News: દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર છેલ્લા કેટલાય દિવસોથી દેશના કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કુસ્તીબાજોનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. આ રેસલરોમાં રેસલર બજરંગ પૂનિયા પણ સામેલ છે. હવે આ વિવાદની વચ્ચે કર્ણાટકમાં ઉદભવેલા બજરંગ દળના વિવાદને લઇને એક પૉસ્ટ કરી છે, જે પૉસ્ટ વાયરલ થઇ હતી અને બાદમાં થોડાક જ સમયમાં તેને ડિલીટ કરી દીધી હતી. જાણો બજરંગ પૂનિયાએ આ પૉસ્ટમાં શું લખ્યુ હતુ. 


ખરેખરમાં, બજરંગ પૂનિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુ સંગઠન બજરંગ દળના સમર્થનમાં એક ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી. આમાં તેને એક તસવીર મુકી હતી, જેમાં લખ્યું હતું કે, "હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું." આ તસવીરના કેપ્શનમાં લોકોને તેને વોટ્સએપ સ્ટેટસ અને ડીપી પર લગાવવાની પણ અપીલ કરી હતી. 


પૉસ્ટ કેમ કરી ડિલીટ ?
ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સના એક વર્ગ દ્વારા બજરંગ પૂનિયાને તેની પૉસ્ટને લઇને ખુબ ખરીખોટી સાંભળવા મળી હતી. આ પછી જ તેને તરત જ પોતાની પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી. તેની પૉસ્ટ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનું વચન આપ્યું છે.


બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતના કેટલાય મોટા ગજાના કુસ્તીબાજો જાતીય સતામણીના આરોપોને લઈને વૃજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ખાપ પંચાયતના નેતાઓએ ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપી દીધુ છે.


આ પહેલા જાન્યુઆરીમાં થયો હતો વિરોધ - 
તેઓએ ફેડરેશનના ચીફની ધરપકડ કરવાની માંગ કરી છે, જેમના પર POCSO એક્ટ હેઠળ એક સહિત બે FIR નોંધવામાં આવી છે. ટોચના કુસ્તીબાજોએ આ અગાઉ જાન્યુઆરીમાં WFI ચીફ સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. હવે 23 એપ્રિલથી ફરી એકવાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. આ માટે તેમને તમામ લોકો પાસેથી સમર્થન માંગ્યું છે.