Bank Of India KYC Update: ભારતમાં ડિજિટલાઈઝેશન થયા પછી દરેક બેન્કિંગ, સરકારી અને ખાનગી સેવા, ફોન દ્વારા સંભાળવામાં આવી રહી છે. KYC હોય કે અન્ય કોઈ અપડેટ, બેન્કો ઘણીવાર તેમના ફોન પર મેસેજ અથવા ઇમેઇલ મોકલે છે, જેમાં તેમને તેમની માહિતી અપડેટ કરવાનું કહેવામાં આવે છે. દરમિયાન, તાજેતરમાં લોકોને સરકારી બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી મેસેજ મળી રહ્યા છે, જેમાં તેમને તેમના KYC અપડેટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે સરકાર તરફથી આ મેસેજ અંગે એક નવી અપડેટ બહાર પાડવામાં આવી છે.
શું મેસેજ છે?
વાસ્તવમાં બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી એક નકલી નોટિસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્રાહકો તેમના આધાર અને PAN સાથે જોડાયેલ તેમની KYC માહિતી અપડેટ નહીં કરે તો તેમના બેન્ક ખાતા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. જો કે, સરકારે હવે આ વાયરલ નોટિસનો જવાબ આપ્યો છે.
સત્ય શું છે?
સરકારી એજન્સી PIB ફેક્ટ ચેક મારફતે આ મેસેજની પુષ્ટી કરી હતી કે આ નોટિસ સંપૂર્ણપણે નકલી છે. આ નોટિસના ફોટા સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી એક નોટિસ ઓનલાઈન ફરતી થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આધાર અને પાન કેવાયસી અપડેટ ન કરવાને કારણે ગ્રાહકોના બેન્ક ખાતા તાત્કાલિક બ્લોક કરવામાં આવશે, અને તેમને તેમના કેવાયસી અપડેટ કરવા માટે 'BOI મોબાઈલ ડિજિટલ' એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે."
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "આ નોટિસ સંપૂર્ણપણે નકલી છે. બેન્ક ઓફ ઈન્ડિયા અને RBI એ આવી કોઈ નોટિસ જાહેર કરી નથી. વાયરલ તસવીર સંપૂર્ણપણે બનાવટી છે અને બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી નથી."
સરકારે સત્ય જાહેર કર્યું છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નોટિસ સંપૂર્ણપણે નકલી છે. તેણે ગ્રાહકોને આવા કોઈપણ મેસેજ, લિંક્સ અથવા એપ્લિકેશન્સ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે. કોઈપણ બેન્ક સંબંધિત માહિતી માટે હંમેશા બેન્કની સત્તાવાર વેબસાઇટ, શાખા અથવા અન્ય સત્તાવાર સ્ત્રોતો સાથે માહિતી ચકાસો.
