Youtuber Mohammad Aamir:યુટ્યુબર મોહમ્મદ આમિરની તાજેતરમાં યુપી પોલીસે સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી બનાવવાના આરોપસર ધરપકડ કરી છે. વાસ્તવમાં, તેણે સાધુના વેશમાં એક વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુટ્યુબર પર સંતો અને દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો અને સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ છે. બીજી તરફ, જ્યારે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, ત્યારે યુટ્યુબરે એક વીડિયો જાહેર કર્યો અને પોતાની ભૂલ માટે માફી માંગી. તેણે એમ પણ કહ્યું કે તે ફરીથી આવા વીડિયો નહીં બનાવે.

કાર્યવાહી થયા બાદ આમિરે માફી માંગી

યુટ્યુબર આમિરે આ વીડિયોમાં સાધુના વેશમાં વાંધાજનક વીડિયો બનાવવા બદલ માફી માંગી. તેણે કહ્યું કે, મારી સામગ્રી ફક્ત મનોરંજન માટે છે. કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી. જો કોઈને આનાથી દુઃખ થયું હોય, તો હું મારા હૃદયથી માફી માંગુ છું. તમને જણાવી દઈએ કે આમિરની 25 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

યુટ્યુબરે પોતાના ચાહકોને આ વચન આપ્યું

યુટ્યુબરે આગળ કહ્યું, 'હવેથી મારી ચેનલ પર ફક્ત મનોરંજનના વીડિયો જ આવશે. હું આવું ફરી નહીં કરું. ફરી કોઈની લાગણી દુભાવાશે નહીં. હું તમને આ વચન આપું છું.' તમને જણાવી દઈએ કે મુરાદાબાદ પોલીસે આમિરની ધરપકડ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ ઘણો હોબાળો થયો હતો. યુટ્યુબ પર આમિરની TRT નામની ચેનલ છે. જેના પર તે માત્ર અશ્લીલ જ નહીં પણ અપમાનજનક વીડિયો પણ બનાવે છે.

બે ઇન્ફ્લુએન્સર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ યુપીની સંભલ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ વાંધાજનક સામગ્રી પીરસનારા બે ઇન્ફ્લુએન્સર્સની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી બનાવનારા લોકોને ચેતવણી આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કોઈ સોશિયલ મીડિયા પર ગંદકી ફેલાવી ન શકે...