Bihar politics 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ને પ્રચંડ બહુમતી મળી હોવા છતાં, મુખ્યમંત્રી નીતિશ કુમારે તાત્કાલિક રાજીનામું ન આપીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. 17 નવેમ્બર, 2025 ના રોજ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત બાદ પણ તેમણે રાજીનામું સોંપ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની વધેલી બેઠકોને કારણે નીતિશ કુમારને ડર છે કે તેમનું મુખ્યમંત્રી પદ જોખમમાં મુકાઈ શકે છે અથવા ભાજપ કોઈ રમત રમી શકે છે. આ વ્યૂહરચના પાછળ ગઠબંધનમાં રહેલો 'અવિશ્વાસ' જવાબદાર હોવાનું મનાય છે.
પરંપરા તૂટી: રાજ્યપાલને મળ્યા પણ રાજીનામું ન આપ્યું
બિહારના રાજકારણમાં એક અનોખી ઘટના જોવા મળી છે. સામાન્ય રીતે પરંપરા એવી રહી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી છેલ્લી કેબિનેટ બેઠક યોજે છે અને ત્યારબાદ રાજ્યપાલને મળીને રાજીનામું આપે છે અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરે છે. જોકે, 17 નવેમ્બર, 2025 ના રોજ આ પરંપરા તૂટી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવનમાં રાજ્યપાલને મળ્યા તો ખરા, પરંતુ તેમણે રાજીનામું આપ્યું નહીં. તેમણે રાજ્યપાલને માત્ર જાણ કરી કે વિધાનસભા 19 નવેમ્બરના રોજ ભંગ થશે અને ત્યાં સુધી તેઓ પદ પર ચાલુ રહેશે.
ચૂંટણી પરિણામોનું ગણિત અને 'મોટા ભાઈ'ની ભૂમિકા
આ અસમંજસ પાછળનું મુખ્ય કારણ ચૂંટણી પરિણામોના આંકડા છે. 14 નવેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામોમાં JDU એ 2020 ની સરખામણીએ સારું પ્રદર્શન કરતા 85 બેઠકો જીતી છે, પરંતુ સાથી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) 89 બેઠકો જીતીને ગઠબંધનમાં 'મોટા ભાઈ' તરીકે ઉભરી આવી છે. ભાજપ પાસે વધારે બેઠકો હોવાને કારણે સત્તાનું સમીકરણ બદલાયું છે.
નીતિશ કુમારને કયો ડર સતાવી રહ્યો છે?
રાજકીય વિશ્લેષકો માને છે કે નીતિશ કુમારને ડર છે કે જો તેઓ વહેલું રાજીનામું આપી દેશે, તો ભાજપ આ તકનો લાભ ઉઠાવી શકે છે. 19 નવેમ્બરે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક પહેલાં ભાજપ મુખ્યમંત્રી પદ માટે અન્ય કોઈ નેતાનું નામ આગળ કરી શકે છે અથવા તેમને સાઈડલાઈન કરી શકે છે. તેથી, નીતિશ કુમાર ભાજપને કોઈ પણ પ્રકારના દાવપેચ કે રણનીતિ ઘડવાનો સમય આપવા માંગતા નથી અને છેલ્લી ઘડી સુધી સત્તાનું સુકાન પોતાની પાસે રાખવા માંગે છે.
ટિકિટ વહેંચણી સમયની નારાજગી
આ અવિશ્વાસના બીજ ચૂંટણી પહેલા જ રોપાઈ ગયા હતા. જ્યારે ભાજપ અને JDU વચ્ચે 101-101 બેઠકો પર લડવાનો નિર્ણય થયો, ત્યારે જ JDU એ રાજ્યમાં પોતાનો દબદબો ગુમાવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એવા અહેવાલો પણ હતા કે નીતિશ કુમાર ટિકિટ વિતરણની પ્રક્રિયાથી નારાજ હતા. હવે પરિણામો બાદ ભાજપનું પલડું ભારે થતાં, નીતિશ કુમાર કોઈ જોખમ લેવા માંગતા નથી.
19 નવેમ્બર સુધી યથાવત રહેશે સ્થિતિ
રાજભવન મુલાકાત બાદ JDU ના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે કેબિનેટે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી છે, જે 19 નવેમ્બરથી અમલમાં આવશે. આનો સીધો અર્થ એ છે કે 19 નવેમ્બર સુધી નીતિશ કુમાર કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ પૂર્ણ સત્તા સાથે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે અને ત્યાં સુધી ભાજપ પર દબાણ જાળવી રાખશે.