છત્તીસગઢના બિલાસપુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. હાવડા રૂટ પર એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે ભયંકર ટક્કર થઈ છે.   આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. અનેક મુસાફરો ઘાયલ થયા હોવાની આશંકા છે. રેલવે અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. આ ભયંકર અકસ્માત બાદ સમગ્ર રૂટ પર ટ્રાફિક  ઠપ્પ થઈ ગયો છે.

Continues below advertisement

આ અકસ્માત મંગળવારે (4 નવેમ્બર) સાંજે 4 વાગ્યે થયો હતો. ટ્રેન નંબર 68733 એક માલગાડી સાથે અથડાઈ હતી. 

Continues below advertisement

પ્રાથમિક માહિતી મુજબ, સામસામે થયેલી ટક્કરમાં 6  મુસાફરોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી ગંભીર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી પર ચડી ગયો હતો.

દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે (SECR) અનુસાર, અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ રેલ્વે મેનેજર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે.

રેલ્વેએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, અને ટેકનિકલ નિષ્ણાતો સ્થળ પર છે. સ્ટેશનની આસપાસ રેલ ટ્રાફિકને થોડા સમય માટે અસર થઈ હતી, પરંતુ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. રેલ્વેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલ્વે સેફ્ટી કમિશનર બિલાસપુર ટ્રેન અકસ્માતની તપાસ કરશે.

ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે, જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં, રેલ્વે વહીવટીતંત્રે મુસાફરોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.