AI Summit 2026 Protest Delhi: દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી AI સમિટ 2026માં શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ટી-શર્ટ ઉતારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાના વિરોધમાં આજે શનિવારે ભાજપ દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં અકબર રોડ પર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બેરિકેડ તોડીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને સાંસદ મનોજ તિવારી પણ જોડાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના આ પ્રદર્શનને 'દેશદ્રોહ' ગણાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, AI શિખર સંમેલનમાં 80થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા અને સૌએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે, પરંતુ કોંગ્રેસે ભાડૂતી ગુંડાઓ દ્વારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તિવારીએ વધુમાં ઉમેર્યું કે દેશની જનતા કોંગ્રેસના આ કૃત્ય માટે તેમને ક્યારેય માફ નહીં કરે. ભાજપના નેતાઓ 'દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે' તેવા પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને જોતા દિલ્હી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બીજી તરફ, AI સમિટ દરમિયાન હંગામો કરવા બદલ ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યકરોમાં યુથ કોંગ્રેસના સેક્રેટરી કૃષ્ણા હરિ, બિહાર રાજ્ય સચિવ કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના ઉપપ્રમુખ અજય કુમાર અને રાષ્ટ્રીય સંયોજક નરસિમ્હા યાદવનો સમાવેશ થાય છે. કોર્ટમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ કાર્યકરો માત્ર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા અને તેમને બંધારણીય રીતે વિરોધ કરવાનો અધિકાર છે. હાલમાં આ મામલે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
