ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાનો જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના સાંસદે દાવો કર્યો છે કે 1960 ના દાયકામાં નેહરુએ ચીન પર નજર રાખવા માટે યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ને હિમાલયમાં નંદા દેવી શિખર પર પરમાણુ સંચાલિત સર્વેલન્સ ઉપકરણો સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.
અનેક તબક્કામાં સીક્રેટ ઓપરેશન કરવાનો દાવો
દુબેએ પોતાની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે આ સીક્રેટ ઓપરેશન અનેક તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ 1964 માં જવાહરલાલ નેહરુના કાર્યકાળ દરમિયાન, અને બાદમાં 1967 અને 1969 માં જ્યારે ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતા.
પોસ્ટમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લખ્યું છે કે, "1964માં ભારતના પ્રથમ વડા પ્રધાન નહેરુ અને 1967 અને 1969માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ યુએસ CIA સાથે મળીને હિમાલયમાં નંદા દેવી પર ચીન માટે પરમાણુ જાસૂસી ઉપકરણો સ્થાપિત કર્યા હતા."
અમેરિકનો ભાગી ગયા પછી બધો સામાન ત્યાંજ રહી ગયો
તેમણે આગળ કહ્યું, "અમેરિકનો ભાગી ગયા પછી બધો સામાન ત્યાં છોડી દેવામાં આવ્યો. શું આ જ કારણ નથી કે ઉત્તરાખંડથી બંગાળ સુધી ગંગા કિનારે રહેતા લોકોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે?"
હિમાલયના પ્રદેશોમાં ઓગળી રહ્યા છે ગ્લેશિયર
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે હિમાલયના પ્રદેશોમાં ગ્લેશિયર પીગળી રહ્યા છે, વાદળ ફાટી રહ્યા છે અને ઘરોમાં તિરાડો પડી રહી છે. 1978માં, તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈએ લોકસભામાં આ વાત સ્વીકારી હતી. તાજેતરમાં, પ્રખ્યાત અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. હવે આપણા બાળકોને બચાવવાનો સમય છે.