Protem Speaker:  બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર હશે. નવા ચૂંટાયેલા સાંસદોને માત્ર ભર્તૃહરિ મહતાબ જ શપથ લેવડાવશે. તમને જણાવી દઈએ કે મહતાબ ઓડિશાના કટકથી 57077 વોટથી ચૂંટણી જીત્યા હતા. તેમણે બીજેડીના સંતરૂપ મિશ્રાને હરાવ્યા હતા. 


 






સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 7 વખત સાંસદ રહી ચૂકેલા ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લેશે. તેમને અધ્યક્ષોની પેનલ દ્વારા મદદ કરવામાં આવશે. આ પેનલમાં કોંગ્રેસના નેતા કે સુરેશ, ડીએમકે નેતા ટીઆર બાલુ, ભાજપના સાંસદો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે અને ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાય સામેલ હશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્યો 24-25 જૂને શપથ લેશે. જ્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે.


પ્રોટેમ સ્પીકરને લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. પ્રોટેમ સ્પીકરે રોજિંદી કાર્યવાહી કરવાની હોય છે. ભત્રીહરિ મહતાબ નવા પ્રમુખની ચૂંટણી સુધી તમામ જવાબદારીઓ નિભાવશે. નવા સભ્યોને શપથ પણ લેવડાવશે. જો કે, પ્રોટેમ એક અસ્થાયી પદ છે. ગૃહના નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કામ કરશે. તમને જણાવી દઈએ કે સ્પીકર બહુમતીથી ચૂંટાય છે.


ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત


ત્રીજી વખત ભાજપ (BJP)ની આગેવાની હેઠળની NDA સરકારના શપથ લીધા બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષ (Lok Sabha Speaker)ની ચૂંટણી આ સત્રના ત્રીજા દિવસે 26 જૂને થવાની છે. આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર આગ્રહ કરી રહ્યો છે કે એનડીએના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએ.


આ મુદ્દે નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ (BJP) જે પણ નિર્ણય લેશે, પાર્ટી તેનું સમર્થન કરશે. તે જ સમયે, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી (TDP)એ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે.


જેડીયુએ સમર્થન જાહેર કર્યું હતું


જનતા દળ (યુનાઈટેડ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું કે જેડીયુ અને ટીડીપી (TDP) એનડીએમાં સહયોગી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારને સમર્થન કરશે. કેસી ત્યાગીએ ANIને કહ્યું, 'JDU (જનતા દળ યુનાઇટેડ) અને TDP (તેલુગુ દેશમ પાર્ટી) NDAમાં મજબૂતીથી છે. અમે ભાજપ (BJP) દ્વારા (સ્પીકર માટે) નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું.


ટીડીપી (TDP)એ આ વાત કહી


ટીડીપી (TDP)ના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભી રામ કોમરેડ્ડીએ કહ્યું કે સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. તેમણે કહ્યું, 'આ સંબંધમાં એનડીએ સહયોગીઓ સાથે બેસીને નક્કી કરશે કે સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. સર્વસંમતિ સધાય પછી જ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે અને ટીડીપી (TDP) સહિત તમામ સાથી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.