નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાના અહેવાલ આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું કે કેટલાક અસામાજિક તત્વોએ મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને સીસીટીવી કેમેરા અને સુરક્ષા બેરિકેડને તોડી નાખ્યા હતા. ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તોડી નાખવામાં આવ્યા છે.


મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરની તોડફોડ કરી છે. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે તેમને દરવાજે લાવી હતી.






ભાજપ કેજરીવાલને મારવા માંગે છેઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ કહ્યું, ભાજપ અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે. અરવિંદ કેજરીવાલ પર એક સુઆયોજીત ષડયંત્ર હેઠળ હુમલો કરવામાં આવ્યો છે અને તેઓ ચૂંટણીમાં હરાવી શક્યા નથી તેથી હવે તેઓ તેમને આ રીતે ખતમ કરવા માંગે છે.


તેજસ્વી સૂર્યાએ કહ્યું- કેજરીવાલે માફી માંગવી જોઈએ


ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, કેજરીવાલે દેશના હિંદુઓનું અપમાન કરવા બદલ માફી માંગવી પડશે અને જ્યાં સુધી તે માફી નહીં માંગે. યુવા મોરચા તેમને છોડશે નહીં. દેશના હિંદુઓનું અપમાન કરનારા કેજરીવાલને આજે આપણે અસામાજિક તત્વો લાગીએ છીએ જ્યારે કાશ્મીરી હિંદુઓની નરસંહાર કરનારા આતંકવાદીઓ વ્હાલા લાગે છે.


70 કાર્યકરોની અટકાયત


પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150-200 કાર્યકરોએ સવારે 11.30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતા. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.  પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


AAPએ ભાજપ પર આરોપ લગાવ્યો


આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. વાસ્તવમાં આજે ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા હતા. ભાજપનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.