Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
BMC Election Result 2026: ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં કોર્પોરેટરો હોવાની ભીતિ; દેવેન્દ્ર ફડણવીસ વિદેશમાં છે ત્યારે શિંદે જૂથે મેયર પદ માટે 'અઢી વર્ષની ફોર્મ્યુલા' અને સ્ટેન્ડિંગ કમિટી માટે દબાણ વધાર્યું.

BMC Election Result 2026: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (BMC Election 2026) ના પરિણામો જાહેર થયા બાદ સત્તાનું ગણિત જટિલ બની ગયું છે. ભલે ભાજપ અને શિંદે જૂથના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોય, પરંતુ મુંબઈમાં ફરી એકવાર હાઈવોલ્ટેજ ડ્રામા અને 'રિસોર્ટ પોલિટિક્સ' (Resort Politics) નો દોર શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) અચાનક પોતાના તમામ 29 ચૂંટાયેલા કોર્પોરેટરોને બાંદ્રા સ્થિત ફાઇવ સ્ટાર હોટેલ 'તાજ લેન્ડ્સ એન્ડ' (Taj Lands End) માં ખસેડી દીધા છે.
હોટલમાં કેમ લઈ જવામાં આવ્યા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાલમાં 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ' માટે દાવોસ (વિદેશ) ગયા છે. આ તકનો લાભ ઉઠાવીને રાજકીય તોડફોડ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અહેવાલો મુજબ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ દ્વારા શિંદે જૂથના કેટલાક કોર્પોરેટરોનો ગુપ્ત રીતે સંપર્ક કરવામાં આવ્યો છે. જ્યાં સુધી BMC માં મેયર અને સત્તાની રચના ન થાય ત્યાં સુધી, પોતાના નગરસેવકો તૂટે નહીં તે માટે શિંદેએ તેમને હોટલના સુરક્ષિત કિલ્લામાં રાખવાનો નિર્ણય લીધો છે.
મેયર પદ માટે અઢી વર્ષની શરત?
આંકડાકીય રમતમાં શિંદે જૂથ હવે 'કિંગ મેકર'ની ભૂમિકામાં છે.
ભાજપ: 89 બેઠકો
શિંદે જૂથ: 29 બેઠકો
જાદુઈ આંકડો: 114
ભાજપને સત્તા સ્થાપવા માટે શિંદે જૂથના 29 કોર્પોરેટરોની અનિવાર્ય જરૂર છે. આ સ્થિતિનો લાભ લઈને એકનાથ શિંદે ભાજપ સામે મેયર પદ (Mayor Post) માટે 'અઢી-અઢી વર્ષ' (2.5 Years Formula) ની શરત મૂકી શકે છે. આ ઉપરાંત, તેઓ સ્થાયી સમિતિ (Standing Committee) અને અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓમાં પણ પોતાના પક્ષ માટે મોટો હિસ્સો માંગી રહ્યા છે.
'અમને ઉદ્ધવ ઠાકરે સામે વાંધો નથી'
દૈનિક 'ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, શિંદે જૂથના કેટલાક કોર્પોરેટરોએ ઉદ્ધવ ઠાકરેની નજીકના વ્યક્તિઓ સાથે વાતચીત કરી છે. એવું મનાય છે કે આ કોર્પોરેટરોએ એવો સંદેશો આપ્યો છે કે "અમને ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરે સામે કોઈ અંગત દુશ્મનાવટ નથી." આ અહેવાલોએ શિંદે કેમ્પમાં ફફડાટ ફેલાવી દીધો છે.
આ તમામ ગતિવિધિઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું એક સૂચક નિવેદન પણ ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, "જો ભગવાનની ઈચ્છા હશે, તો મુંબઈનો આગામી મેયર શિવસેના (ઉદ્ધવ જૂથ) નો જ હશે." હવે મુંબઈના રાજકારણમાં આગળ શું નવા જૂની થાય છે તેના પર સૌની નજર છે.






















