Operation Sindoor: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક ઓપરેશનમાં જમ્મુ સરહદ પર પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા. બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ આતંકવાદી ચોકીઓનો નાશ કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો.
પીટીઆઈ સાથે વાત કરતા બીએસએફ કમાન્ડન્ટ ચંદ્રેશ સોનાએ કહ્યું હતું કે, "અમે તેમના (પાકિસ્તાન દ્વારા) ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો. અમે તેમની ઘણી સંપત્તિઓ નષ્ટ કરી હતી. મસ્તપુરમાં તેમનું એક લોન્ચપેડ હતું, જેને અમે તબાહ કરી દીધુ હતું. અમારી કાર્યવાહીને કારણે તેમની પાંચ ચોકીઓ સંપૂર્ણપણે નાશ પામી અને અમે તેમના ઘણા બંકરો પણ નષ્ટ કર્યા હતા."
બીએસએફ કમાન્ડન્ટ સોનાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સતત નાગરિક વિસ્તારો અને ભારતીય મથકોને નિશાન બનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "10 મેના રોજ પાકિસ્તાને અમારી ચોકીઓ અને ગામડાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે 61 એમએમ અને 82 એમએમ મોર્ટારનો ઉપયોગ કરીને ભારે ગોળીબાર કર્યો હતો."
તેમણે કહ્યું, "અમે પાકિસ્તાની સેનાનો સામનો કરી રહ્યા હતા જે પાકિસ્તાની રેન્જર્સ સાથે મળીને લડી રહી હતી. અમે પાકિસ્તાની સેના અને રેન્જર્સ બંનેને ભારે નુકસાન પહોંચાડ્યું." સોનાએ જણાવ્યું હતું કે ગોળીબાર બંધ થયા પછી ઘણા કલાકો સુધી એમ્બ્યુલન્સ ઘાયલોને ચેકપોઇન્ટથી હોસ્પિટલોમાં લઈ જતી જોવા મળી હતી.
અધિકારીએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મહિલા જવાનોની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું, "દરેક BSF બટાલિયનમાં મહિલા કોન્સ્ટેબલ હોય છે. તેમણે ઘરે જવાનું કે બટાલિયન હેડક્વાર્ટર પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તેમના સાથીદારો સાથે ખભા મિલાવીને ઉભા રહેશે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપશે." તેમણે કહ્યું, "એક મહિલા કોન્સ્ટેબલે પોતાના બાળકને તેના પરિવારને સોંપી દીધું અને મોરચા પર જવાબદારી સંભાળી હતી."